
મુંબઈ: વરલીથી મરીન ડ્રાઇવ સુધીનો કોસ્ટલ રોડનો બીજો તબક્કો એટલે કે પ્રોજેક્ટનો બીજો ભાગ 10 જૂન સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોસ્ટલ રોડના પહેલા તબક્કાની મરીન ડ્રાઇવ બાજુની ટનલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા એ દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ માહિતી આપી હતી.
કોસ્ટલ રોડની ટનલમાં પાણીનું ગળતર(લિકેજ) થતું હોવાના અહેવાલો બાદ શિંદે પોતે પરિસ્થિતિનો તકાજો લેવા ત્યાં પહોંચ્યા હતા. તેમણે આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે બેથી ત્રણ એક્સપાન્શન જોઇન્ટ્સ(સાંધા) માં ગળતર હોવાનું જણાયું છે જેને પોલીમર ગ્રાઉન્ટિંગના ઉપયોગથી દૂર કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન આ સમસ્યા ન ઊભી થાય એ માટે દરેક બાજુના પચ્ચીસ જોઇન્ટ્સમાં પણ આ ગ્રાઉન્ટિંગ કરવાની સૂચના મેં આપી છે. જોકે સમારકામ હાથ ધરાય ત્યારે વાહનચાલકોને કોઇપણ પ્રકારની હાલાકી નહીં ભોગવવી પડે, એમ શિંદેએ જણાવ્યું હતું.