રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા

મુંબઈ: 2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ અંગે રાહુલ ગાંધીએ કરેલા દાવાઓને રદિયો આપનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જનતાનું ધ્યાન વિચલિત કરવા ધમપછાડા કરી રહ્યા હોવાનું મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીના લખાણને કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય કાદવ ઉછાળ પ્રવૃત્તિ શરૂ થયાના એક દિવસ પછી ફડણવીસે એક અખબારના લેખ દ્વારા ચૂંટણીના “મેચ ફિક્સિંગ અને હેરાફેરી”ના આરોપોને ફગાવી દીધા હતા. લેખમાં રજૂઆત કરવામાં આવી હતી કે ‘રાહુલ ગાંધી જનાદેશનો અસ્વીકાર કરી રહ્યા છે, કારણ કે તેમણે જનતાએ તેમને દરવાજો દેખાડી દીધો હતો.
એક પત્રકાર પરિષદ સંબોધતા સપકાળે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમ અને તત્કાલીન એડિશનલ સીઈઓ કિરણ કુલકર્ણીના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી જેથી વિધાનસભાની ચૂંટણીમાં કથિત “મત ચોરી” પાછળના સત્યને ઉજાગર કરી શકાય.
અંગ્રેજી અખબારમાં પ્રકાશિત લેખમાં રાહુલ ગાંધીએ ઉઠાવેલા પ્રશ્ન અંગે ચૂંટણી પંચનો જવાબ માંગી સપકાળે વધુમાં જણાવ્યું હતું કે ‘મત ચોરીના મુખ્ય લાભાર્થી ભાજપ અને ફડણવીસ હતા. ફડણવીસે આપેલો વળતો જવાબ હાસ્યાસ્પદ છે અને જનતાનું ધ્યાન વિચલિત કરવાનો પ્રયાસ છે.
ફડણવીસ અને ભાજપ યુતિને મતની હેરાફેરી અને સત્તાનો સીધો ફાયદો થયો છે. ફડણવીસે ન્યાયના પ્રતીક તરીકે પેશ આવવાનું બંધ કરવું જોઈએ. તેમનું શાસન ભ્રષ્ટ પોલીસ વડા જેવું છે. તેમના પ્રતિભાવ નબળા અને ઉપરછલ્લા હોય છે અને એમાંથી સમસ્યાનો ઉકેલ નથી મળતો.’
આપણ વાંચો: વિધવા વિરોધી પ્રથાઓ સામે ૭,૦૦૦ મહારાષ્ટ્રીયન ગામોનો ક્રાંતિકારી દાખલો
સપકાળે એમ પણ કહ્યું હતું કે ફડણવીસે (કોંગ્રેસના શાસન દરમિયાન) ચૂંટણી કમિશનરોની નિમણૂકોનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેઓ ઈરાદાપૂર્વક વિસરી ગયા છે કે ચૂંટણી પંચના કમિશનર ટી.એન. શેષનની નિમણૂક કોંગ્રેસના સમયમાં કરવામાં આવી હતી.
ટી એન શેષને આદર્શ આચારસંહિતાની નવેસરથી વ્યાખ્યા કરી હતી, પરંતુ મોદીના ભાજપના વખતમાં ચીફ જસ્ટિસને સિલેક્શન પેનલમાંથી હટાવીને તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાનની નિમણૂક કરવામાં આવી હતી.
ફડણવીસનો આ લેખ માત્ર ખરડાઈ રહેલી છબીને બચાવવાની કવાયત છે. એ લેખ કદાચ દિલ્હીમાં તેમના ઉપરીઓના કહેવાથી લખાયો છે. જોકે, એ લેખ ખંડન કરવાને પણ લાયક નથી.’
(પીટીઆઈ)