દિશા સાલિયન મૃત્યુ કેસ: શિવસેના (યુબીટી) હવે તેના પિતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે: નિરૂપમ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના નેતા સંજય નિરૂપમે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે શિવસેના (યુબીટી) દિશા સાલિયનના પિતા સતીશ સાલિયનને બદનામ કરી રહી છે. દિશા સાલિયન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર હતી. જૂન 2020માં થોડા દિવસોમાં જ બંનેનું મૃત્યુ થયું હતું.
એક પત્રકાર પરિષદને સંબોધતા સંજય નિરૂપમે એવી માગણી કરી હતી કે મુંબઈ પોલીસ દિશા સાલિયનના મૃત્યુ અંગેના ક્લોઝર રિપોર્ટ પાછળનું સત્ય જાહેર કરે. દિશા સાલિયનની હત્યા કર્યા પછી, (શિવસેના) યુબીટી જૂથ હવે તેના પિતા સતીશ સાલિયનને બદનામ કરી રહ્યું છે,’ એવો દાવો સંજય નિરૂપમે કર્યો હતો.
નિરૂપમે શિવસેના (યુબીટી) પર કેસને દબાવવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, કારણ કે તે સમયે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન હતા. ભૂતપૂર્વ સાંસદે એવો સવાલ કર્યો હતો કે, શું માલવણી પોલીસે ઠાકરેના દબાણ હેઠળ કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને નિવેદનો ફરીથી રેકોર્ડ કરવાની માગણી કરી હતી.
નિરૂપમે એવો દાવો કર્યો હતો કે (પોલીસના) ક્લોઝર રિપોર્ટમાં સાલિયન પરિવારને બદનામ કરવા માટે ખોટી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આદિત્ય ઠાકરે અને તેના સાથીઓ દિશાની હત્યાના મુખ્ય આરોપી છે અને હવે તેઓ તેના પિતાની પ્રતિષ્ઠા પર હુમલો કરી રહ્યા છે, એમ તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો.
ગયા અઠવાડિયે, સાલિયનના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જૂન 2020માં તે કેવા પ્રકારના રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી તેની નવેસરથી તપાસની માગણી કરી હતી. તેમણે હાઈકોર્ટને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધવાનો અને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવા પણ વિનંતી કરી હતી.
આ પણ વાંચો : દિશા સાલિયનના પિતા ફરી જૉઈન્ટ કમિશનરને મળ્યા: ગુનો નોંધી કાર્યવાહીની માગણી કરી
અહીં ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પણ એવો દાવો કર્યો હતો કે રાજપૂતની હત્યા કરવામાં આવી હતી.