ખાડાને કારણે યુવકનું મૃત્યુ: કલ્યાણ-શિળફાટા રોડની બિસ્માર હાલત જવાબદાર હોવાનો વાહનચાલકોનો દાવો

થાણે: ગયા મહિને ટૂ-વ્હીલર પાણી ભરેલા ખાડામાં ફસાવાને કારણે ગંભીર ઇજા પામેલા 28 વર્ષના યુવકનું શુક્રવારે મૃત્યુ થયા બાદ થાણે જિલ્લાના કલ્યાણ-શિળફાટા રોડની બિસ્માર હાલત આ માટે જવાબદાર હોવાનો દાવો સ્થાનિક નેતાઓ અને વાહનચાલકો કરી રહ્યા છે.
કલ્યાણ પશ્ર્ચિમના રામબાગ વિસ્તારનો રહેવાસી રોહન શિંગારે 23 જુલાઇએ ટૂ-વ્હીલર પર નવી મુંબઈના વાશીમાં કામના સ્થળે જઇ રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.
આપણ વાંચો: ડિસ્ચાર્જ મળ્યાના કલાકો બાદ દર્દીનું મૃત્યુ: સગાંવહાલાંએ હોસ્પિટલમાં કરી તોડફોડ
અધિકારીના જણાવ્યા મુજબ પિંપળેશ્ર્વર હોટેલ નજીક રોહનનું ટૂ-વ્હીલર પાણીથી ભરેલા ખાડામાં ફસાઇ જતાં તે નીચે પટકાયો હતો. એ સમયે ત્યાંથી પૂરપાટ વેગે જઇ રહેલી ટ્રકનું ટાયલ રોહનના હાથ પર ફરી વળ્યું હતું. તાત્કાલિક સારવાર છતાં રોહનની તબિયત લથડી હતી અને શુક્રવારે તેનું મૃત્યુ થયું હતું. રોહન શિવસેનાના નેતા રાજેન્દ્ર શિંગારેનો એકમાત્ર પુત્ર હતો.
ખાડાઓ, ટ્રાફિક જૅમ અને રસ્તો સમથળ ન હોવાને કારણે કલ્યાણ-શિળફાટા રોડ જોખમી બની ગયો છે. ખાસ કરીને પલાવા ચોક ખાતે નિલજે કટાઇ બ્રિજ જેવા વિસ્તારો.
મનસેના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજુ પાટીલે કહ્યું હતું કે એમએસઆરડીસી અને એમએમઆરડીએ જેવી એજન્સીઓએ વારંવારની ચેતવણીઓને અવગણી છે. શક્તિશાળી રાજકારણીઓ સાથે કડી ધરાવતા કોન્ટ્રેક્ટરો દ્વારા ‘નબળાં કામો’ને કારણે મુસાફરોને જીવ ગુમાવવા પડે છે. (પીટીઆઇ)