રિતૂ તાવડે બનશે મુંબઈના નવા મેયર, શિંદે જૂથને મળ્યું ડેપ્યુટી મેયર પદ…

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ઇતિહાસમાં દાયકાઓ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાનો મેયર બેસાડવા જઈ રહી છે. ભાજપના હાઈકમાન્ડે વરિષ્ઠ નગરસેવિકા રિતૂ તાવડેના નામ પર સત્તાવાર મહોર મારી છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમએ BMC મુખ્યાલય ખાતે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. 29 વર્ષ બાદ મુંબઈને ભાજપના નેતૃત્વ હેઠળના મેયર મળશે, જે મુંબઈના રાજકીય સમીકરણોમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.
રિતૂ તાવડેએ શનિવારે ભવ્ય રીતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 10 પંડિતોને બોલાવીને મંત્રોચ્ચાર અને શંખનાદ કરવામાં આવ્યો હતો. એક તરફ શિવાજી મહારાજના જયઘોષ થઈ રહ્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિતૂ તાવડે ઘાટકોપર વિસ્તારના ત્રણ ટર્મથી કોર્પોરેટર છે અને તેઓ મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની છબી એક મિલનસાર અને પાયાના કાર્યકર તરીકેની છે, જે તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.
આ વખતે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે સત્તાની વહેંચણી ખૂબ જ સંતુલિત રીતે કરવામાં આવી છે. મહાયુતિ ગઠબંધન હેઠળ ડેપ્યુટી મેયર પદ શિવસેના શિંદે જૂથના ફાળે ગયું છે, જેમાં સંજય શંકર ઘાડીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે. ભાજપ પાસે 89 બેઠકો છે, જ્યારે શિંદે જૂથ પાસે 29 બેઠકો છે. આ બંને પક્ષોના જોડાણથી આંકડો 118 પર પહોંચે છે, જે બહુમતી કરતા વધારે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ 65 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.
કેમ ખાસ છે મુંબઈ મેયરનું પદ?
મુંબઈ મહાનગરપાલિકા (BMC) દેશની સૌથી ધનિક નગરપાલિકા છે, જેનું બજેટ અનેક નાના રાજ્યો કરતા પણ વધુ હોય છે. આથી જ તેના મેયર પદ માટે હંમેશા ખેંચતાણ રહેતી હોય છે. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મેયર પદ માટે સત્તાવાર ચૂંટણી યોજાશે. ભાજપે મહિલા મેયરનો દાવ ખેલીને આગામી ચૂંટણીઓ માટે પણ મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ અને શિંદે જૂથ વચ્ચેનું આ મજબૂત સત્તા સમીકરણ આગામી દિવસોમાં મુંબઈના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે.
કોણ છે રિતૂ તાવડે? તેમની રાજકીય સફર
રિતૂ તાવડે ભાજપના જૂના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. તેઓ 2012માં વોર્ડ નંબર 127 થી પ્રથમ વખત જીત્યા હતા. ત્યારબાદ 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121 અને 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132 માંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગ્રાઉન્ડ લેવલ પર તેમની પકડ અને વહીવટી અનુભવને કારણે જ પક્ષે મુંબઈ જેવી મહત્વની મહાનગરપાલિકાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. તેમના મેયર બનવાથી મુંબઈના પાયાના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારો આવવાની અપેક્ષા છે.



