આ કોની માટે ઇન્સ્ટાગ્રામ પર મદદમાગી રહ્યા છે રતન ટાટા!

મુંબઇઃ ઉદ્યોગપતિ રતન ટાટા જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તૈયાર હોય છે. તેમનો શ્વાનો પ્રત્યેનો પ્રેમ પણ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ તેમણે મુંબઈમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કૂતરાની તસવીર શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરીને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેને લોકોને વિનંતી કરી છે કે તેઓ કૂતરા માટે રક્તદાતા શોધવામાં મદદ કરે. કહેવામાં આવી રહ્યું છે કે એક શ્વાન એનિમિયાથી પીડિત છે.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતી વખતે, ટાટાએ લખ્યું હતું કે- “હું તમારી મદદની ખરેખર પ્રશંસા કરીશ. એનિમલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને આ 7 મહિનાના શ્વાનને તાત્કાલિક રક્ત ચઢાવવાની જરૂર છે. તેને શંકાસ્પદ ટિક તાવ અને ભયંકર એનિમિયા સાથે દાખલ કરવામાં આવ્યો છે. અમને મુંબઈમાં શ્વાનના રક્તદાતાની તાત્કાલિક જરૂર છે.”
આ પોસ્ટ જ્યારથી શેર કરવામાં આવી છે ત્યારથી તે વાયરલ થઈ ગઈ છે અને તેને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લાઈક્સ મળી ચૂકી છે અને આંકડો ઝડપથી વધી રહ્યો છે. આ ઉપરાંત ઇન્ટરનેટ યુઝર્સ પણ તેને ઝડપથી શેર કરી રહ્યા છે.
ઇન્સ્ટા પોસ્ટ અનુસાર રક્તદાન કરનાર શ્વાને પણ કેટલીક આવશ્યકતાઓને પૂર્ણ કરવી પડશે. તે ક્લિનિકલી સ્વસ્થ હોવો જોઈએ અને તેની ઉંમર 1 થી 8 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેનું વજન લગભગ 25 કિલો કે તેથી વધુ હોવું જોઈએ, તેણે બધી જ રસી અને કૃમિનાશક લીધા હોવા જોઈએ. તેને કોઈ મોટો રોગ ન હોવો જોઈએ, તેની કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. આ શરતોને પૂર્ણ કરતા શ્વાન રક્તદાન કરી શકે છે. ટાટા ટ્રસ્ટે તાજેતરમાં દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં દેશનું પ્રથમ અદ્યતન નાના પશુઓ માટેનું ચિકિત્સાલય પણ ખોલ્યું છે.