રેલવેએ 800 સંસ્થાને ઓફિસ ટાઈમિંગ બદલવાનો કર્યો અનુરોધ, જાણો કેમ?

મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય ટ્રેનોમાં દિવસે દિવસે અસહ્ય ભીડ વધી રહી છે. તાજેતરમાં લોકલ ટ્રેનોમાં ભીડને કારણે દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે.
આવી સ્થિતિમાં પીક અવર્સ દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે મધ્ય રેલવેએ 800થી વધુ કંપનીનો સંપર્ક કર્યો છે અને કામના કલાકોમાં તબક્કાવાર ફેરફાર સૂચવ્યા છે.
આપણ વાંચો: મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…
હાલમાં મધ્ય રેલવે દરરોજ 1,810 લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન કરે છે, જેમાં 35 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણે વચ્ચે સ્થિત સરકારી અને ખાનગી સંસ્થાઓ વચ્ચે કામકાજના કલાકોની ગોઠવણીનો અભાવ છે. આ વિસંગતતાને કારણે નોંધપાત્ર ભીડ થાય છે, જેના કારણે અકસ્માતોની શક્યતા વધી જાય છે.
તાજેતરના આંકડા દર્શાવે છે કે પહેલી જાન્યુઆરીથી 31 મે, 2025 દરમિયાન લોકલ ટ્રેનમાં 922 આકસ્મિક મૃત્યુ થયા હતા, જેમાં 210 લોકો ટ્રેનોમાંથી પડી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાઓમાં કલ્યાણ સ્ટેશને સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા ત્યાર બાદ થાણે અને કુર્લા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: Christmas Gift: 31 ડિસેમ્બરના મુંબઈમાં લોકલ ટ્રેનો 24 કલાક દોડશે
કામના કલાકોમાં ફેરફાર કરવાથી ટ્રેનસેવાઓ પરનું દબાણ ઓછું થવાની અપેક્ષા છે, ખાસ કરીને સવારે 8-10 અને સાંજે 5-7 વાગ્યા સુધી, જયારે સૌથી વધુ ભીડ હોય છે.
CR માને છે કે આ ફેરફાર દિવસ દરમિયાન મુસાફરોના ટ્રાફિકને વહેંચી દેશે, જેથી મુસાફરોની સલામતી અને આરામમાં સુધારો થશે. વધુમાં, મધ્ય રેલવેએ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પાસેથી તબક્કાવાર રીતે અમલીકરણમાં મદદ કરવા સત્તાવાર રીતે સહાય માંગી છે.
મધ્ય રેલવેમાં વધારાની રેલ લાઇનોની પણ તાતી જરૂર છે તેમ છતાં,અમુક મર્યાદાઓ ઝડપી વિકાસને અવરોધે છે. તેથી, સ્થાનિક ટ્રેન સિસ્ટમ પરની તાણને ઘટાડવા માટે ઓફિસના કલાકોમાં ફેરફારને અસરકારક અભિગમ તરીકે જોવામાં આવે છે.