બ્લોક એલર્ટઃ પશ્ચિમ રેલવેમાં આવતીકાલે હાથ ધરાશે મેજર બ્લોક

મુંબઈ: આવતીકાલે 30 સપ્ટેમ્બર-01 ઓક્ટોબર સોમવારે મધરાત દરમિયાન પશ્ચિમ રેલવેમાં ગોરેગાંવથી મલાડ દરમિયાન જમ્બો બ્લોક હાથ ધરાશે. ગોરેગાંવથી મલાડ સ્ટેશન વચ્ચે છઠ્ઠી લાઇન નાખવા માટે મેજર બ્લોક હાથ ધરવામાં આવશે.
બ્લોકને પગલે ગોરેગાંવમાં અપ તેમ જ ડાઉન ફાસ્ટ લાઇન પર અને મલાડમાં અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સોમવારની મધરાતે સાડા બાર વાગ્યાથી મંગળવારે સવારે સાડા ચાર વાગ્યા સુધી એટલે કે ચાર કલાક માટે આ બ્લોક રાખવામાં આવ્યો છે.
આ બ્લોક દરમિયાન તમામ ટ્રેનો ફક્ત ચર્ચગેટથી અંધેરી અને વિરારથી બોરીવલી દરમિયાન દોડાવવામાં આવશે. આ દરમિયાન અપ અને ડાઉન મેલ-એક્સ્પ્રેસ ટ્રેનો 10થી20 મિનિટ મોડી દોડશે, એવી માહિતી પણ પશ્ચિમ રેલવેએ બહાર પાડેલી સૂચનામાં આપી હતી.
પશ્ચિમ રેલવેએ આપેલી સૂચના મુજબ સોમવારે મોડી રાતની ચર્ચગેટ-વિરાર લોકલ 23:27 વાગ્યે ઉપડીને મોડી રાતે 1:15 વાગ્યે વિરાર પહોંચશે. જ્યારે ચર્ચગેટ-અંધેરી લોકલ રાતે 1:00 ઉપડીને 1:35 વાગ્યે અંધેરી પહોંચશે.
આ પણ વાંચો : જાણો મુંબઈમાં સિઝનનો કેટલો વરસાદ પડ્યો, ક્યારે વિદાય થશે મેઘરાજા?
જ્યારે વિરાર-ચર્ચગેટ લોકલ વિરારથી 23:30 વાગ્યે ઉપડીને 1:10 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. બોરીવલી-ચર્ચગેટ ટ્રેન બોરીવલીથી 00:10 વાગ્યે ઉપડશે અને 01:15 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. પશ્ચિમ રેલવેના પરિપત્રકમાં જણાવાયા મુજબ ગોરેગાંવ-સીએસએમટી લોકલ 00:07 વાગ્યે ઉપડીને 01:02 વાગ્યે સીએસએમટી પહોંચશે. આ સિવાય બ્લોકના કારણે અન્ય ટ્રેનોને પણ અસર થશે, જેની માહિતી પશ્ચિમ રેલવેની વેબસાઇટ પર જોઇ શકાશે.