દાણચોરીના સોનાને ઓગાળવાના મસ્જિદ બંદરના કારખાના પર રેઇડ
દાણચોરીની ઈન્ટરનૅશનલ સિન્ડિકેટ સાથે સંકળાયેલા સાતની ડીઆરઆઈ દ્વારા ધરપકડ: 8.93 કરોડનું સોનું જપ્ત

યોગેશ સી પટેલ
મુંબઈ: વિદેશથી દાણચોરીથી લવાયેલા સોનાને દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલા કારખાનામાં ઓગાળીને તેને ફરી લગડી બનાવી બજારમાં વેચવાના રૅકેટમાં સંડોવાયેલા આરોપીઓ પર ડિરક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) કાર્યવાહી કરી હતી.
ડીઆરઆઈના અધિકારીઓએ કારખાના પર રેઇડ કરી સાત આરોપીની ધરપકડ કરી હતી અને 8.93 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશી નાગરિકોની મદદથી સોનાની દાણચોરીના અમુક કેસોની તપાસમાં ડીઆરઆઈ આ કારખાના સુધી પહોંચી હતી. વિદેશી નાગરિકોની મદદથી સોનું મુંબઈ ઍરપોર્ટ પહોંચાડવામાં આવતું હતું અને ઍરપોર્ટના કર્મચારીઓને આપવામાં આવતું. બાદમાં કર્મચારીઓ પાસેથી એ સોનું લઈને મસ્જિદ બંદરના કારખાનામાં લાવવામાં આવતું, જ્યાં સોનું ઓગાળીને તેની ફરી લગડી બનાવવામાં આવતી. બાદમાં મુંબઈની બજારમાં સોનું ઊંચી કિંમતે વેચવામાં આવતું હતું.
આ પણ વાંચો: DRIએ ₹ 60 કરોડના લક્ઝરી ફર્નિચર આયાત કૌભાંડનો પર્દાફાશ કર્યો: બે જણની ધરપકડ
મળેલી માહિતીને આધારે ડીઆરઆઈએ રવિવારે કાઝી સૈયદ સ્ટ્રીટ ખાતેની એક બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા કારખાના પર રેઇડ કરી હતી. કારખાનામાંથી પાંચ જણને પકડી પાડી 8.93 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓની ઓળખ મિનીનાથ ભુલે, વિશ્ર્વાસ યાદવ ઉર્ફે અમોલ, ઉદય જનગામ, રોહિત મોહિતે અને વિક્રમ મોટે તરીકે થઈ હતી.
આરોપીઓ જપ્ત કરાયેલા સોના સંબંધી યોગ્ય દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા. તેમની પૂછપરછમાં વધુ બે આરોપી રાજકુમાર પવાર અને રવીન્દ્ર સાળુંખેની ધરપકડ કરાઈ હતી. પવાર કારનાનો માલિક હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા આરોપી સોનાની દાણચોરીમાં સંડોવાયેલી ઈન્ટરનૅશનલ સિન્ડિકેટના સભ્યો હોવાની શક્યતા ડીઆરઆઈએ વ્યક્ત કરી હતી. આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય સભ્યો અને આર્થિક લેવડદેવડની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.