મેચ ફિક્સિંગ મામલે રાજનીતી ગરમાઈઃ રાઉત અને ફડણવીસે આપી પ્રતિક્રિયા…

મુંબઈઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારની ચૂંટણીમાં પણ મેચ ફિક્સિંગ થશે એટલે કે ઈવીએમ સાથે ચેડાં થશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે અને તેમાં મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કર્યો છે. Rahul Gandhiએ મહારાષ્ટ્રની મતદાર યાદી સામે જ વાંધો ઉઠાવ્યો હતો. બિહારની ચૂંટણી સમયે ફરી આ મુદ્દો ગાજશે ત્યારે સંજય રાઉતે વચ્ચે કૂદકો માર્યો છે. રાઉતે છેક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીની લોકસભા ચૂંટણીનો મુદ્દો ઉછાળ્યો છે.

સંજય રાઉતે વારાણસીની ચૂંટણી વિશે કહ્યું કે
સંજય રાઉતે જણાવ્યું કે દરેક ચૂંટણીમાં દરેક મતવિસ્તારમાં ગરબડ થાય છે તેમ હું કહેતો નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા ચૂંટણી પંચ સાથે જોડાયેલા મુદ્દા પર બોલવું જરૂરી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરવ્યવહારના એટલા પ્રકાર છે અને પુરાવા પણ છે. તેમણે આ માટે ભાજપ અને ચૂંટણી પંચ સામે આંગળી ચિંધી હતી.
ત્યારબાદ રાઉતે લોકસભા 2024ની ચૂંટણીની યાદ અપાવી હતી. રાઉતે કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે વારાણસીમાં મોદી પાછળ ચાલતા હતા. શરૂઆતના બે કલાકમાં આમ થતાં મત ગણતરી રોકવામાં આવી અને મતદાર કેન્દ્રમાંથી ઈલેક્ટ્રિસિટી ગઈ. દરમિયાન ઈવીએમના ડેટા ઉડી ગયા અને નવા ઈવીએમ ત્યાં લાવવામાં આવ્યા. બે કલાક માટે સતત ચહલપહલ રહી. મતગણતરી હાઈજેક કરવામાં આવી.

આ રીતે મહારાષ્ટ્રનો વિજય પણ ભાજપે ચોરી કરેલો વિજય છે. ઈવીએમ પોતાના કબ્જે કર્યા. છેલ્લા બે કલાકમાં 60થી 65 લખ મતદારો ઉમેરવામાં આવ્યા. રાહુલ ગાંધીએ આ વિષય વિદેશની ધરતી પણ ઉઠાવ્યો અને તેને લીધે મોદી અને તેમની સરકારની બદનામી થઈ તેમ રાઉતે કહ્યું હતું.

રાહુલ ગાંધી જમીન પર આવેઃ ફડણવીસ
રાહુલ ગાંધીના નિવેદન બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ઊંઘમાંથી જાગવાની જરૂર છે અને જમીન પર આવવાની જરૂર છે તો જ તેમની પાર્ટી કઈક સારું કરી શકશે. ચૂંટણી પહેલા જ મેચ ફિક્સિંગની વાત કરી રાહુલ ગાંધીએ બિહારમાં પોતાની હાર સ્વીકારી લીધી હોવાનું પણ ફડણવીસે ટોણો માર્યો હતો.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ
એક અંગ્રેજી અખબારના આર્ટિકલમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગની જેમ મહારાષ્ટ્રની ચૂંટણી ફિક્સ થઈ ગયાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે પહેલા ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરનારી પેનલમાં ગરબજ કરી, મતદાતા સૂચિમાં નકલી નામ જોડ્યા, મતદાનની ટકાવારી વધારે બતાવવી, જ્યાં જ્યાં ભાજપને હાર દેખાઈ ત્યાં બૉગસ મતદાન કરવું, પુરાવાને છુપાવવા. તેમણે આ બધાને તોકતંત્ર માટે ઝેર સમાન કહ્યું હતું. મેચ ફિક્સિંગ ન થાય તે માટે નાગરિકોને જાગૃત રહેવા કહ્યું હતું નહીંતર બિહારમાં પણ આમ જ થશે, તેમ રાહુલે પોતાની પોસ્ટમાં કહ્યું હતું.