મુંબઈમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન એક શખ્સે આવી હરકત કરતા શો 20 મિનિટ માટે બંધ રખાયો

મુંબઈ: અલ્લુ અર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ પુષ્પા 2: ધ રુલ ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ (Pushpa 2 The Rule Release) થઇ, ચાહકો ફિલ્મ જોવા માટે પડાપડી કરી રહ્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવી (Box Office collection) રહી છે. બીજી તરફ ફિલ્મના શો દરમિયાન ઘણા થિયેટર્સ હોબાળો મચ્યો હતો. હૈદરાબાદમાં નાસભાગની ઘટના બની હતી, તો મુંબઈમાં ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન હોબાળો મચી ગયો હતો, જેના પછી શોને 20 મિનિટ માટે રોકવો પડ્યો.
કોઈએ પેપર સ્પ્રે છાંટ્યો:
મુંબઈના ગેઈટી ગેલેક્સી થિયેટરમાં પુષ્પા 2 ચાલી રહી હતી. આહેવાલ મુજબ ઈન્ટરવલ પછી કોઈ અજાણ્યા શખ્સે સિનેમા હોલની અંદર પેપર સ્પ્રે છાંટ્યો હતો. જેને કારણે ત્યાં હાજર લોકોને ઉધરસ, ગળામાં બળતરા અને ઉલ્ટી થવા લાગી. માહિતી મળતા જ શો તરત જ બંધ કરી દેવામાં આવ્યો હતો. લગભગ 20 મિનિટ સુધી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકી દેવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. થિયેટરની અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો છે, જેમાં દર્શકો ઉધરસથી ખાતા જોઈ શકાય છે.
અલ્લુ અર્જુન સામે કેસ:
આ પહેલા ગઈકાલે ફિલ્મ રિલીઝના દિવસે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુન પોતે આવ્યો હતો, જેને જોઈને લોકો બેકાબુ થઈ ગયા, થોડીવારમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું, તેનો 9 વર્ષનો પુત્ર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાળક હોસ્પિટલમાં દાખલ છે, તેની હાલત નાજુક છે.
આ મામલે અલ્લુ અર્જુન અને સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે અલ્લુ અર્જુને કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Also Read – પુષ્પા-2 અલ્લુ અર્જુન માટે ઉપાધિ લઈને આવીઃ મહિલાના મોત મામલે અભિનેતા સામે એફઆઈઆર
ફિલ્મનું કલેક્શન:
ફિલ્મમાં અલ્લુ ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શન મજબૂત રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે પહેલા દિવસે 160 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.