એનસીપી (એસપી) દ્વારા મહાયુતી ચે કાળે કારનામે પુસ્તકનું પ્રકાશન

મુંબઇ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (એસપી) પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારના કાળા કરતૂતો પર એક પુસ્તક મહાયુતિ ચે કાળે કારનામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
એનસીપી (એસપી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ દ્વારા ટ્રિપલ એન્જિન નહીં, ટ્રબલ એન્જિન સરકાર તરીકે રાજ્યની મહાયુતિ સરકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સત્તાધારી પાર્ટીની 10 નિષ્ફળતાઓ આ પુસ્તકમાં લખવામાં આવી છે અને તેમાં કુશાસન અને ભ્રષ્ટાચારને મુદ્દે સરકારની ટીકા કરવામાં આવી છે. આ પ્રસંગે શિરુરના સંસદસભ્ય અમોલ કોલ્હે પણ હાજર હતા.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા શરૂ કરવામાં આવેલી લાડકી બહેન યોજનાની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લાડકી ખુરશી યોજના ચાલુ કરવી જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ભાજપ-એનસીપીમાં નવાજૂની થવાના એંધાણઃ આ નેતાએ કર્યો મોટો દાવો
પાટીલે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દાવોસમાં જઈને રૂ. ચાર લાખ કરોડના રોકાણની વાતો કરે છે, પરંતુ કેટલું રોકાણ રાજ્યમાં આવ્યું? કેટલા રોજગાર નિર્માણ થયા? આ પુસ્તકમાં એક ફૂગ્ગા સાથે ત્રણ કાગડા દેખાડવામાં આવ્યા છે.
ગાંધીજીના ત્રણ બંદરની થીમ પર તૈયાર કરવામાં આવેલા આ ચિત્રનો ખુલાસો કરતાં અમોલ કોલ્હેએ કહ્યું હતું કે ગાંધીજીના બંદર ખરાબ ન જોવું, ખરાબ ન સાંભળવું, ખરાબ ન બોલવું પર આધારિત હતા, જ્યારે મહારાષ્ટ્રમાં નવી વિચારધારા જોવા મળે છે રાજ્યમાં સકારાત્મક કામ ને ‘જોવું નહીં, સાંભળવું નહીં અને બોલવું નહીં.’
રાજ્યમાં 19 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી એનસીપી (એસપી) દ્વારા ‘મારું સપનાનું મહારાષ્ટ્ર’ ઝુંબેશ ચલાવવામાં આવશે અને લોકો પાસેથી સૂચનો એકઠા કરવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી.
તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યમાં ચૂંટણી ઢંઢેરા માટેની ઝુંબેશ ચાલુ કરનારી એનસીપી (એસપી) પહેલી પાર્ટી છે અને રાજ્યમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ પણ એનસીપી (એસપી)નો છે. વિધાનસભામાં આનું પુનરાવર્તન કરવામાાં આવશે. (પીટીઆઈ)