ઉત્તર મુંબઈમાં ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે દરખાસ્ત: પીયૂષ ગોયલ

મુંબઈ: ઉત્તર મુંબઈ લોકસભા મતદારસંઘના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પિયુષ ગોયલે સ્થાનિક રહેવાસીઓને રાહત આપવા ઉત્તર મુંબઈમાં ઠેરઠેર થતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાની ખાતરી આપી છે.
પિયુષ ગોયલ માટે આજે સવારે દહિસર વિધાનસભા મતવિસ્તારના દૌલત નગરના ઉત્સાહી કાર્યકરોની ભાગીદારી સાથે નમો યાત્રા ઝુંબેશ શરૂ થઈ હતી. નાગરિકો સાથેની તેમની વાતચીત દરમિયાન, ગોયલે સમગ્ર મુંબઈ, ખાસ કરીને ઉત્તર મુંબઈ દ્વારા શહેરના એક છેડે આવેલા સ્થાનને કારણે ટ્રાફિકના પડકારો પર ભાર મૂક્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ઉપનગરીય રેલવે મુસાફરીના ભારણને ઘટાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. જેમ કે એસી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે, મેટ્રો સેવાઓ ચાલુ કરવામાં આવી છે. આ બધાનો ફાયદો મુંબઈગરાને મળી રહ્યો છે. જોકે, હવે ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો લક્ષ્યાંક છે.
ગોયલે પરિવહન નિષ્ણાતોની સલાહ લેવાની અને મુસાફરીનો સમય ઘટાડવાના પગલાં ભરવા માટે સંભવિત રૂટની સમીક્ષા કરવાની યોજના અંગે વાત કરી હતી. પીયૂષ ગોયલને પ્રચાર યાત્રા દરમ્યાન નાગરિકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. જન આશીર્વાદ રથ જે વિસ્તારમાંથી પસાર થયો, ત્યાં ગોયલનું દરેક જગ્યાએ ફૂલો અને શાલ શ્રીફળથી સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ મહાયુતિના તમામ ઘટક પક્ષોના કાર્યકરોએ પ્રચારમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ગોપાલ શેટ્ટી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પ્રધાન રામદાસ આઠવલે, વિધાનસભ્ય મનીષા ચૌધરી હાજર રહ્યા હતા.