આમચી મુંબઈ

ઠાકરેના કાર્યકાળ દરમિયાન મીઠી નદીનો ગાળ કાઢવામાં રૂ. 1,200-1,300 કરોડનો ભ્રષ્ટાચાર: ભાજપ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ભાજપના વિધાનપરિષદના સભ્ય (એમએલસી) પ્રસાદ લાડે શુક્રવારે મીઠી નદીનો ગાળ કાઢવામાં રૂ. 1,200-1,300 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો દાવો કર્યો હતો.

શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે પર પ્રહાર કરતા વિધાન પરિષદના સભ્યે કહ્યું હતું કે, ‘એક ‘રાજકુમાર’ સંડોવાયેલો હોય તેવું લાગે છે, પરંતુ હું નક્કર પુરાવા વગર નામ નહીં લઉં.’‘મારી માહિતી મુજબ મીઠી નદીનો ગાળ કાઢવામાં ભ્રષ્ટાચારના સંદર્ભમાં 16 લોકોના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં રૂ. 65 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે. પરંતુ જો તમે તપાસનો વ્યાપ 15 વર્ષ સુધી લંબાવશો તો તે રૂ. 1,200 કરોડથી રૂ. 1,300 કરોડ થશે,’ એવો દાવો તેમણે કર્યો હતો.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ મીઠીના ગાળ કાઢવામાં રૂ. 65 કરોડની કથિત ગેરરીતિઓ બદલ ગુનો નોંધ્યો છે.
પ્રસાદ લાડે જણાવ્યું હતું કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ દાવો કર્યો છે કે તાજેતરના વર્ષોમાં 1.5 થી 2 લાખ ટન ગાળ કાઢવા માટે રૂ. 250 કરોડ ખર્ચ્યા છે. ‘15 વર્ષમાં, આ આંકડો લગભગ 30 લાખ ટન થશે. આટલા કાદવથી તમે નવી મુંબઈ જેટલો વિસ્તાર બનાવી શકો છો. તો, કાદવ ખરેખર ક્યાં ફેંકવામાં આવ્યો હતો,’ એમ તેમણે પૂછ્યું હતું.

ભાજપ નેતાએ આરોપ લગાવ્યો કે અધિકારીઓ દ્વારા ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે દર્શાવવામાં આવેલી જગ્યા હવે ગગનચુંબી ઇમારતો દ્વારા કબજે કરવામાં આવી છે. આ સૂચવે છે કે સત્તાવાર અહેવાલોમાં આ સ્થળ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. સરકારી સ્થળોએ ગાળ ફેંકવા બદલ રોયલ્ટીની ચુકવણીનો કોઈ પુરાવો નથી. કાયદા મુજબ, ટ્રક નંબરો સૂચિબદ્ધ હોવા જોઈએ, પરંતુ રેકોર્ડમાં વાહન (નોંધણી) નંબરો વાસ્તવમાં ટુ-વ્હીલર અને ઓટો રિક્ષાના છે.

વાહનોના વજન પણ નોંધાયેલા નથી. બિલ્ડરો પણ કાટમાળ પરિવહન માટે યોગ્ય રોયલ્ટી ચૂકવી રહ્યા નથી,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે મીઠીને સાફ કરવા માટે બીએમસી દ્વારા ‘બાયોમાઇનિંગ’ના ઉપયોગની પણ ટીકા કરી હતી. નદીને સાફ કરવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, પરંતુ કેટલી સફાઈ કરવામાં આવી, કોણે કામ કર્યું અથવા તેનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું તેનો કોઈ ડેટા નથી,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે વિદેશી ટેકનોલોજીના આડમાં વધારે પડતું બિલિંગનો આરોપ લગાવ્યો હતો. દર વખતે, નદી સફાઈના નામે જર્મની, ઇટલી, ફ્રાન્સ અથવા સ્પેનથી નવી ટેકનોલોજી બતાવવામાં આવે છે. જો તેની કિંમત 100 રૂપિયા હોય, તો તેને 2,000 રૂપિયામાં ભાડે લેવામાં આવે છે. આ સોદાઓથી વચેટિયાઓને ફાયદો થાય છે,’ એમ તેમણે કહ્યું હતું. લાડે દાવો કર્યો હતો કે ભૂતકાળની ચિંતાઓ છતાં ઘણા કોન્ટ્રાક્ટરોને કામ મળ્યું છે. ‘આ કંપનીઓ 2019-2022 દરમિયાન વધી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા,’ એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો : નાળાસફાઈ, મીઠી નદીના કૌભાંડો માટે શ્વેતપત્રિકા કાઢો: ભાજપ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button