45 દિવસ પછી ચૂંટણી ફૂટેજ નાશ કરવાના ચૂંટણી પંચના આદેશની પટોલેએ ટીકા કરી, કેન્દ્ર સાથે મિલીભગતનો આરોપ

નાગપુર: કોંગ્રેસના નેતા નાના પટોલેએ શુક્રવારે ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ અને વીડિયો ફૂટેજનો 45 દિવસ પછી નાશ કરવાની સૂચના માટે ટીકા કરીને કેન્દ્ર સરકાર સાથે ‘મિલીભગત’ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
‘દૂષિત નેરેટિવ્સ’ ચલાવવા માટે ઇલેક્ટ્રોનિક ડેટાનો ઉપયોગ થવાના ડરથી ચૂંટણી પંચે 30મેના રોજ એક પત્રમાં રાજ્ય ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હતી કે 45 દિવસની અંદર જો કોર્ટમાં ચૂંટણીના પરિણામોને પડકારવામાં ન આવે તો 45 દિવસ પછી આવા ફૂટેજનો નાશ કરવામાં આવે.
મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પટોલેએ અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હરિયાણામાં ચૂંટણી પછી કેટલાક લોકોએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કોર્ટે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચે ત્યારબાદ કેન્દ્રીય કાનૂન મંત્રાલયને પત્ર લખીને ચૂંટણી આચારસંહિતા નિયમોની કલમ 93માં સુધારા કરવા જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ‘દિવસ-રાત કામ કર્યું’ અને નિયમોમાં સુધારો કર્યો હતો.
‘તે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચે એકબીજા સાથે સાંઠગાંઠ કરી છે,’ એવો દાવો પટોલેએ કર્યો હતો. ચૂંટણી પંચને માહિતી છુપાવવાની શા માટે જરૂર પડી અને સરકાર લોકોને કેમ જાણવા દેવા નથી માગતી કે કેટલા મતદારો મતદાન મથક પર ગયા હતા.
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને ચૂંટણી પંચના આ આદેશને પડકાર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
બારમી જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનના તૂટી પડવાના અને એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે એવો સવાલ કર્યો હતો કે વડા પ્રધાન અને ગૃહ પ્રધાને આ ઘટનાઓની જવાબદારી કેમ ન લીધી અને રાજીનામું કેમ ન આપ્યું?
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા પછી કોંગ્રેસે જવાબદારી લીધી હતી અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખને રાજીનામું આપવા કહ્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ પહેલાથી હિન્દી દાખલ કરવાના મુદ્દા પર પટોલેએ જણાવ્યું હતું કે મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે.
‘લોકોનું ધ્યાન ભટકાવવા (મુખ્ય પ્રધાન) દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે માટે મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે.. શું ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ ખતમ થઈ ગયા છે?’ એવો સવાલ તેમણે કર્યો હતો.
આ પણ વાંચો - સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર
મનસેના વડા રાજ ઠાકરેએ રાજ્યમાં વિદ્યાર્થીઓ પર હિન્દી ‘લાદવાની’ ટીકા કરીને સરકાર સામે બાંયો ચડાવી છે.