બોરીવલીમાં નિર્માણાધીન ઇમારતનો અમુક ભાગ ધરાશયી, ત્રણનાં મોત
![Part of under-construction building collapses in Borivali](https://bombaysamachar.com/wp-content/uploads/2024/03/Dhiraj-2024-03-12T193851.257.jpg)
મુંબઈ: મુંબઈ નજીક બોરીવલી ખાતે બાંધકામ હેઠળના બિલ્ડિંગનો અમુક ભાગ ધરાશયી થવાને કારણે ત્રણ જણનાં મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. બોરીવલીના કલ્પના ચાવલા ચોકમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં લગાવેલો પાલખ (Scaffolding) તૂટી પડતાં ત્રણ મજૂરના મોત અને એક મજૂર જખમી થયા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર એન્જિનિયર, પોલીસ અને પાલિકાના અધિકારીઓએ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
બોરીવલી પશ્ચિમ ખાતે આવેલી એક 24 માળની ઇમારતનું બાંધકામ શરૂ હતું. જોકે, તેના માટે બિલ્ડિંગ પર વાંસનો પાલખ બાંધવામાં આવ્યો હતો. આ બનાવ બપોરે એક વાગ્યાની આસપાસ બન્યો હતો. બાંધકામ માટે બાંધવામાં આવેલા પાલખ પર મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાલખ અચાનકથી તૂટી પડતાં તેના પર ચડેલા ચાર મજૂરને ગંભીર ઇજા હતી.
આ 24 માળની બિલ્ડિંગના બાંધકામ માટે પાલખ બંધવામાં આવી હતી. ઇમારતના બાંધકામ માટે ચાર મજૂરો 16માં માળે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલખ તૂટી પડતાં મજૂરો નીચે પટકાયા હતા. આ ઘટનામાં મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ તેમને કાંદિવલીની એક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન ચારમાંથી ત્રણ મજૂરને હૉસ્પિટલના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા અને એકની હાલત ગંભીર છે, જેથી તેની સારવાર ચાલી રહી પોલીસે જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા મજૂરની ઓળખ થઈ હતી, જેમાં મનોરંજન સમાજ (42), શંકર વૈધ (25), પિયુષ હરદાર (38)નું મૃત્યુ થયું હતું. ઉપરાંત, સુશિલ ગુપ્તા (35) નામના મજૂરને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેની સારવાર ચાલી રહી છે, એમ પોલસી અધિકારીએ જણાવ્યું હતું.