પરભણી-બીડમાં 6 ખેડૂતોની આત્મહત્યા, પરંતુ સરકારે હજુ કેન્દ્ર પાસેથી મદદ માગી નથી: એનસીપી (એસીપી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના રાજ્ય એકમના પ્રમુખ શશિકાંત શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં પરભણી-બીડના પટ્ટામાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે પૂરથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર પાસેથી રાહત પેકેજ ન માગ્યું હોવા બાબતે રાજ્ય સરકારની ટીકા કરી હતી.
આપણ વાંચો: ખેડૂત આત્મહત્યામાં મહારાષ્ટ્ર ટોચ પર NCRBના ચોંકાવનારા આંકડા
રાજ્ય સરકારે હજુ સુધી કેન્દ્રીય રાહત પેકેજ માટે પ્રસ્તાવ પણ રજૂ કર્યો નથી એમ તેમણે જાલનામાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં, ખાસ કરીને મરાઠવાડામાં 20 સપ્ટેમ્બર પછી ઘણા દિવસો સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે હજારો હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું હતું અને લાખો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
‘ગયા અઠવાડિયાના અંતે, પરભણી-બીડના પટ્ટામાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ભારે નુકસાન સહન કરનારા પૂરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય આપવામાં વિલંબ થયો છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.
ખેડૂતોને છેતરતી ખાંડ મિલોને સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે, એવો આરોપ શિંદેએ લગાવ્યો હતો.