2023માં પ્લેન સાથે પક્ષીની ટક્કરના હજારથી વધુ કિસ્સા, કંપનીઓને કરોડોનો ફટકો
![Over a thousand cases of bird collisions with planes in 2023, a hit to companies worth crores](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Jignesh-J-Pathak-2024-01-07T170623.844.jpg)
મુંબઈ: એરપોર્ટ પર પ્લેન ટેકઑફ કે લેન્ડિંગ વખતે પ્લેન સાથે પક્ષીઓની ટક્કર થવાની ઘટના બને છે. પ્લેન સાથે પક્ષીઓ ટકરાવાની ઘટનામાં વધારો થઈ રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વીતેલા વર્ષે મહારાષ્ટ્રમાં આ પ્રકારની 131 ઘટના બની હતી, જ્યારે પાટનગર દિલ્હીમાં 169 પક્ષીની પ્લેનથી ટક્કર થયાની ઘટના બની હતી. સમગ્ર ભારતમાં કુલ 1017 આવી ઘટના નોંધવામાં આવી હતી, એમ એવિયેશન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
પ્લેનની ઝડપ ખૂબ જ વધુ હોવાથી નાનું પક્ષી પણ તેના સાથે ટકરાતા પક્ષીની સાથે પ્લેનને પણ મોટું નુકસાન થાય છે. પક્ષી અથડાવાથી પ્લેનમાં અનેક વખત ડેન્ટ પડી જાય છે. પક્ષી અથડાવાથી પ્લેનને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે વિમાની કંપનીને આશરે એકથી પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. વિમાન પક્ષીથી અથડાતાં પક્ષીનું મૃત્યુ થાય છે સાથે જ પ્લેનમાં પણ ખામી સર્જાય છે, જે ગંભીર બાબત છે. આ ઘટના સર્જાતા કયા પ્રકારના પગલાં લેવા એ અંગેની ટ્રેનિંગ પાયલેટને સિમ્યુલેટર પર આપવામાં આવે છે.
એરપોર્ટ 200 એકર અથવા તેનાથી મોટી જમીન પર બનાવવામાં આવે છે. એરપોર્ટના રન-વે પરના ઘાસમાં કિટકોને ખાવા માટે રન-વે પર પક્ષીઓ ફરતા રહે છે. ડીજીસીએ દ્વારા નવા નિયમો જાહેર કર્યા બાદ પ્લેન ટેકઑફ કે લેન્ડિંગ વખતે રન-વેથી પક્ષીઓને ઉડાવવા માટે ખાસ ટીમને એરપોર્ટ પર રાખવામા આવી છે. ઉપરાંત, એરપોર્ટ પરિસરના દસ કિલોમીટરના વિસ્તારમાં પણ પક્ષીઓ વધુ ઉડાન ભરે નહીં તેના માટે દેખરેખ રાખવામાં આવે છે નહીં તો તેનાથી વધુ વધારો થાય છે.
વિમાન સાથે પક્ષી ટકારાવવાને કારણે અકસ્માત પણ થઈ શકે છે. પ્લેન હવામાં રહેતા તેની ઝડપને કારણે નાનાથી નાના આકારનું પક્ષી પણ તેને અથડાતાં પ્લેનને મોટું નુકસાન થાય છે. વિમાન હવામાં અંદાજે 30,000 ફિટ જેટલી ઊંચાઈએ ઉડતું હોય છે, જેથી ટક્કર બાદ વિમાનને થોડા પ્રમાણમાં વાળી શકાય છે, પણ જો તે ઓછી ઊંચાઈએ ઉડતું હોય તો તેનો ટર્ન કરવાનું મુશ્કેલ બને છે, જેથી મોટો અકસ્માત થઈ શકે છે, એવું એક નિષ્ણાંતે કહ્યું હતું.
ભારત પાસે 771 મોટા વિમાન અને 300 જેટલા નાના વિમાન છે. આવા 1,000થી વધુ એરક્રાફ્ટ્સ માટે 4,000 કરોડ રૂપિયાની આવક વીમા કંપનીઓને મળી રહી છે. પ્લેન કંપની દ્વારા પક્ષીઓ ટકરાવવાને કારણે થયેલા નુકસાન માટે વીમા કાઢવામાં આવે છે, પણ આ વીમામાં પ્લેનમાં ટેક્નિકલ ખર્ચ કવર નથી કરવામાં આવતો. પક્ષી પ્લેનથી અથડાતાં પ્લેનનું સંતુલન પણ બગડે છે, જેથી કોઈ મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા હોય છે.