નવી મુંબઈમાં નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીની આત્મહત્યા: મહિલા પ્રિન્સિપાલ સામે ગુનો

થાણે: મહિલા પ્રિન્સિપાલે જાતિવાચક ટિપ્પણી કરી અપમાનિત કરતાં નવી મુંબઈની નર્સિંગ કૉલેજના 19 વર્ષના વિદ્યાર્થીએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. આ પ્રકરણે પોલીસે મંગળવારે પ્રિન્સિપાલ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો હતો.
રાજ્યના છત્રપતિ સંભાજીનગર ખાતે રહેતો વિદ્યાર્થી શેડ્યુલ કાસ્ટનો હતો અને નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં પોયંગે ગામ ખાતે આવેલી ખાનગી કૉલેજમાં બીએસસી નર્સિંગ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
પનવેલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના ત્રીજી જૂને બની હતી. વિદ્યાર્થીએ હોસ્ટેલની રૂમમાં બારીની ગ્રિલ સાથે કમરપટ્ટો બાંધી ગાળાફાંસો ખાધો હતો. આ પ્રકરણે વિદ્યાર્થીની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆરમાં આક્ષેપ કરાયો હતો કે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રિન્સિપાલ વિદ્યાર્થી માટે કથિત જાતિવાચક અપશબ્દો બોલતી હતી. અન્ય વિદ્યાર્થીઓ સામે તેનું અપમાન કરતી હતી અને તેના પુરુષત્વ વિશે વાંધાજનક ટિપ્પણી કરતી હતી.
માનસિક સતામણી અને અપમાન સહન ન થતાં વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ગુનો નોંધી પોલીસે આક્ષેપોની તપાસ હાથ ધરી હતી. સાક્ષીઓ અને કૉલેજના કર્મચારીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે. જરૂરી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
(પીટીઆઈ)
આ પણ વાંચો…વૈષ્ણવી આત્મહત્યા કેસ: સસરા રાજેન્દ્ર હગવણેની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી