વિકાસ પ્રકલ્પોના ખર્ચને પહોંચી વળવા સુધરાઈ હવે પ્લોટ લીઝ પર આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકમાં ઘટાડા સામે કરોડો રૂપિયાના હાથ ધરેલા પ્રોજેક્ટના ખર્ચા વધી રહ્યા છે. તેથી પાલિકાએ આવકનો સ્રોત વધારવા માટે પોતાની માલિકીના કરોડો રૂપિયાના પ્લોટ લીઝ પર આપવાની છે, જેમાં ફોર્ટમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટ અને વરલીની અસ્ફાલ્ટ પ્લાન્ટની જગ્યા લિલામ પદ્ધતિએ ભાડા પર આપવાની છે, જેની માટે અનેક કંપનીઓએ આગળ આવી છે. ફોર્ટ અને વરલીની જગ્યા મોકાની હોવા છતાં વરલી માટે વધુ બોલી લાગી હોવાનું જણાયું છે.
સુધરાઈએ આવક ઊભી કરવા માટે ભવિષ્યમાં પોતાના કામની નહીં હોય તેવી જગ્યાઓ લીઝ પર (ભાડા) આપીને મહેસુલ ઊભું કરવાનો નિર્ણય લીધો છે. તે માટે ત્રણ પ્લોટ લીઝ પદ્ધતિએ ભાડા પર આપવા માટે લોકો પાસે અરજી મગાવી હતી, જેમાં મલબાર હિલની જગ્યા બેસ્ટ ઉપક્રમ પાસે જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ફક્ત વરલી અને ફોર્ટમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટની જગ્યાની જ લિલામી કરવાની છે.
સુધરાઈની એકમાત્ર વરલીની અસફાલ્ટની ૧૦,૮૪૭ ચોરસ મીટરની જગ્યા લિલામી પદ્ધતિએ ભાડા પર આપવા માટે ફેબ્રુઆરીમાં બહાર પાડેલી જાહેરાતાં ૨૦૬૯ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા પ્લોટનો દર ઘટાડીને તેને ૭૫૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. આ જગ્યા માટે ત્રણ અરજી આવી છે અને તે માટે સૌથી વધુ બોલી ૭૮૩ કરોડ રૂપિયાની લગાવવામાં આવી છે.
તો છત્રપતિ શિવાજી મહારાજ માર્કેટનું કુલ ક્ષેત્રફળ ૮,૧૧૬ ચોરસ મીટર છે, તેની લિલામીની અંદાજિત કિંમત ૨,૧૭૫ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી પણ તેને પ્રતિસાદ નહીં મળતા તેની કિંમત હવે લગભગ ૪૩૦ કરોડ રૂપિયા નક્કી કરીને ફરી જાહેરાત આપવામાં આવી છે. તે માટે બે લોકોએ રસ દેખાડયો હોઈ તેમાં લગભગ ૬૧ કરોડ રૂપિયાનો ઘટાડો કરીને બોલી લગાવવામાં આવી છે. આ જગ્યા માટે સૌથી વધુ બોલી ૩૬૯ કરોડ રૂપિયાની લાગી હોવાનું જાણવા મળ્યું છે. તેથી હવે પાલિકા કમિશનર શું નિર્ણય લેશે તેના પર નજર છે.
આ પણ વાંચો…ઘર ખરીદદારો સાથે ઠગાઈ: ઈડીએ બિલ્ડરની મિલકતોને ટાંચ મારી