આળંદીમાં કોઈ કતલખાનાને પરવાનગી નહીં મળે: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણે જિલ્લાના મંદિર નગર આળંદીમાં કોઈપણ કતલખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવી જાહેરાત કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના જાણીતા સંત જ્ઞાનેશ્ર્વર મહારાજની સમાધિ મંદિર આળંદીમાં આવેલી છે આ શહેરમાંથી દરવર્ષે યાત્રાળુઓ (વારકરી) મોટી સંખ્યામાં પંઢરપુરમાં વિઠ્ઠલ મંદિર માટે જાત્રા (વારી) કરતા હોય છે.
આળંદીના ડેવલપમેન્ટ પ્લાનમાં કતલખાના માટેની જમીનના આરક્ષણને દૂર કરવાનો તેમણે નિર્દેશ આપવામાં આવ્યો છે, એમ ફડણવીસે અહીં ‘વારકરી ભક્તિ યોગ’ કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું. ‘કોઈપણ સંજોગોમાં આ શહેરમાં કોઈ કતલખાના ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં,’ એમ રાજ્યના મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી.
તેમણે એવી પણ ખાતરી પણ આપી હતી કે પશ્ર્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીના ડેમમાંથી પાણીના નિકાલનું સંચાલન કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં પૂર ટાળી શકાય.
‘અમે ડેમમાંથી કયા હેતુ માટે પાણી છોડવું જોઈએ અને ક્યારે બંધ કરવું જોઈએ તે અંગે સ્પષ્ટ પ્રોટોકોલ સ્થાપિત કર્યા છે. ડેમમાંથી અસરકારક પાણીનું વ્યવસ્થાપન સુનિશ્ર્ચિત કરવા માટે પડોશી રાજ્યો સાથે સારું સંકલન કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન વધુ સારા સંકલન માટે અમારા ઇજનેરોને આ રાજ્યોમાં તહેનાત કરવામાં આવ્યા છે,’ એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવેમાં OHE માં ટેકનિકલ ખામી: ટ્રેનસેવા પ્રભાવિત…