ભાષા વિવાદ વચ્ચે નિશિકાંત દુબેનું મુંબઈ કનેક્શન પણ જાણી લો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલ ભાષા વિવાદ વકર્યો છે ત્યારે નેતાઓનો પણ વાણીવિલાસ જોરદાર ચાલુ છે. મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ બોલતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું નામ પણ આ નેતાઓમાં સામેલ છે. ત્યારે તેમનું મુંબઈ કનેક્શન જાણવા મળ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર સાથે તેમનું મહત્ત્વનું કનેક્શન ધરાવે છે. મહારાષ્ટ્રના નેતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરાનારા નિશિકાંત દુબેનો મુંબઈના ખાર પશ્ચિમ વિસ્તારમાં કરોડોનો ફ્લેટ છે. ઉપરાંત, પોતે મુંબઈની એક મોટી કોર્પોરેટ કંપનીમાં ડિરેક્ટર રહી ચૂક્યા હતા.
મુંબઈ અને મહારાષ્ટ્રનું પોતાનું શું છે તેવું બોલનારા નિશિકાંત દુબેના બે મુંબઈ કનેક્શન પ્રકાશમાં આવ્યા છે. પહેલું કનેક્શન તો તેમનો વૈભવી ફ્લેટ છે. દુબેનો પશ્ચિમ મુંબઈના ખાર વિસ્તારમાં એક મોટો ફ્લેટ ધરાવે છે. 1,680 ચોરસ ફૂટના આ ફ્લેટની કિંમત સાતથી આઠ કરોડ રૂપિયા છે.
બીજું કનેક્શન તેમના ભૂતપૂર્વ ડિરેક્ટરશિપનું છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા દુબે એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં ડિરેક્ટર હતા. કંપનીની ઓફિસ મુંબઈમાં જ છે. 1993થી 2009 સુધી દુબેએ મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી કંપનીમાં ટોચના મેનેજમેન્ટ હોદ્દા સંભાળ્યા હતા, જ્યાં તેમણે સ્ટીલ, ટેલિકોમ્યુનિકેશન અને ઉર્જા ક્ષેત્રોમાં કામ કર્યું. હવે રાજકીય લાભ માટે મુંબઈ અને મહારાષ્ટ્રની વાતો કરનારા દુબેને પૈસા કમાવવા અને ઘર ખરીદવા માટે મુંબઈ જ મળ્યું.
રાજ્યમાં મરાઠી વિવાદ પર બોલતી વખતે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. દુબેએ મહારાષ્ટ્રની બહાર આવો ત્યારે મારવાની ધમકી આપી હતી. દુબેએ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રના મુસ્લિમો, તમિલો અને તેલુગુઓને મારી બતાવો. દુબેએ ખૂબ જ બેજવાબદાર નિવેદન આપતા પૂછ્યું હતું કે તમે કોના પર જીવી રહ્યા છો? તમારી પાસે શું છે? શું મહારાષ્ટ્રમાં ખાણો છે?.
ભાજપના સાંસદ નિશિકાંત દુબે તેમના ‘પટક પટક કે મારેંગે’ નિવેદન પર અડગ છે. “ઠાકરે ગરીબોને મારે છે, જો હિંમત હોય તો માહિમના મુસ્લિમોને મારી બતાવે,” તેમણે કહ્યું. તેઓ હજુ પણ ઠાકરે પરિવારને ચપ્પલથી મારવાના પોતાના નિવેદન પર અડગ છે.