Good News: મુંબઈમાં વધુ એક ટર્મિનસનું કામ પૂર્ણતાના આરે, જાણો કોને થશે ફાયદો?
![new railway terminus at jogeshwari](/wp-content/uploads/2025/02/jogeshwari-railway-terminus.webp)
મુંબઈઃ મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર છે. પશ્ચિમ રેલવેના વધુ એક નવા ટર્મિનસનું કામ ઝડપથી પાર પાડવા માટે પ્રશાસન કમર કસી રહ્યું છે. નવું ટર્મિનસ બન્યા પછી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને પાર્ક કરવામાં પણ રાહત મળશે. જોગેશ્વરી ખાતે પૂર્વ દિશામાં રામ મંદિર અને જોગેશ્વરી સ્ટેશનો વચ્ચે બની રહેલું નવું ટર્મિનસ આગામી છ મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા છે. અગાઉ રેલવેના સિમેન્ટ ગોડાઉનોની જમીન પર બનેલા આ ટર્મિનસને કારણે દાદર, બાંદ્રા અને મુંબઈ સેન્ટ્રલના હાલના ટર્મિનસ પર ભીડ ઓછી કરવાનો અંદાજ છે.
Also read : Video: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભયંકર આગ; આટલી દુકાનો બળીને ખાખ
![](/wp-content/uploads/2025/02/68c23df5-670c-4163-8e24-d9a81b40e511-1024x576.jpeg)
માર્ચ સુધીમાં 75 ટકા કામ પૂરો કરવાનો નિર્દેશ
લગભગ બે વર્ષથી રૂપિયા ૬૯ કરોડના ખર્ચે નિર્માણાધીન આ ટર્મિનસનું કામ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે અને માર્ચના અંત સુધીમાં ૭૦-૭૫ ટકા કામ પૂર્ણ કરવાનો કોન્ટ્રાક્ટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલના તબક્કે મજૂર શેડ બનાવવા જેવા કામો પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ કવર શેડ, સર્વિસ બિલ્ડિંગ, પ્લેટફોર્મ અને સ્ટેશન બિલ્ડિંગ જેવા આવશ્યક કામો ચાલુ છે, જ્યારે ટ્રેક નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે.
પ્લેટફોર્મના કામકાજ લગભગ પૂરા થયા
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જોગેશ્વરી ટર્મિનસનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે. પ્લેટફોર્મ લગભગ પૂર્ણ થઈ ગયા છે, અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મોટા ભાગના સિવિલ વર્ક ઉનાળા સુધીમાં પૂર્ણ થઈ જશે. આઇલેન્ડ (ડબલ વે ડિસ્ચાર્જ) પ્લેટફોર્મ, જે ટ્રેનોને બંને બાજુના પાટા પર આવવા દે છે, તે એક કાર્યક્ષમ જગ્યા-બચત ડિઝાઇન છે. જોગેશ્વરી ખાતેના ટર્મિનસમાં 600-મીટર લાંબુ અને ૧૨-મીટર પહોળું આઇલેન્ડ પ્લેટફોર્મ હશે, જે ૨૪ કોચવાળી ટ્રેનોનો સમાવેશ કરી શકશે.
Also read : મુંબઈ મેટ્રો 2A, મેટ્રો- 7,નો 15 કરોડ પ્રવાસીઓએ લીધો લાભ, પરંતુ અપેક્ષા કરતા ફૂટફોલ ઓછો
લાંબા અંતરના પ્રવાસીઓને મળશે રાહત
શન્ટિંગ સુવિધા માટે બે બર્થિંગ લાઇન અને પાવર રન ડાઉન (પીઆરડી) લાઇનનો સમાવેશ થશે. કોચમાં પાણીની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જોગેશ્વરી ટર્મિનસ લાંબા અંતરના પ્રવાસીઓ માટે પણ રાહત મળશે, જ્યારે ટ્રેનની કનેક્ટિવિટીમાં સુધારો થવાની અપેક્ષા છે.