આમચી મુંબઈટોપ ન્યૂઝસ્પોર્ટસ

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ…

2030માં 100 વર્ષ પૂરા કરનાર એમસીએ તરફથી દરખાસ્ત મળે તો જમીન ફાળવવા રાજ્ય સરકારની તૈયારી

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (DEVENDRA FADANVIS) અહીં શુક્રવારે સાંજે વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા વિશેની દરખાસ્ત મોકલશે તો અમારી રાજ્ય સરકાર એ માટે વિશાળ પ્લૉટ (LAND) ફાળવશે.

એમસીએ દ્વારા વાનખેડે સ્ટેડિયમમાં ભૂતપૂર્વ કૅપ્ટન અજિત વાડેકર તેમ જ બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર તેમ જ કરોડો ક્રિકેટપ્રેમીઓના લાડલા રોહિત શર્માના નામ જે સ્ટૅન્ડને આપવામાં આવ્યા છે એ ત્રણ સ્ટૅન્ડના અનાવરણ પ્રસંગે ઉપસ્થિત ફડણવીસ બેહદ ખુશ હતા.

તેમણે સ્પીચમાં કહ્યું, આપણા આઇકૉનિક બૅટ્સમૅન, કૅપ્ટન અને મારા ફેવરિટ ક્રિકેટર્સમાંના એક તેમ જ પોતાની બૅટિંગથી અનેક લોકોને મંત્રમુગ્ધ કરનાર ખેલાડી (રોહિત શર્મા) અહીં હાજર છે અને તેની ઉપસ્થિતિમાં હું કહું છું કે જો એમસીએ પ્રપોઝલ મોકલશે તો અમે એક લાખ પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળું નવું સ્ટેડિયમ બનાવવા માટે વિશાળ જમીન આપીશું અને આશા રાખીશું એ નવું સ્ટેડિયમ પાંચ વર્ષમાં (2030 સુધીમાં) બની જાય.

2030માં એમસીએ 100 વર્ષ પૂરા કરશે અને એ અરસામાં નવું સ્ટેડિયમ બની શકે એવી ધારણા છે. વાનખેડે સ્ટેડિયમનું આ ગોલ્ડન જ્યૂબિલી યર છે. આ સ્ટેડિયમમાં 34,000 પ્રેક્ષકો બેસી શકે એટલી જગ્યા છે. નજીકમાં જ આવેલા ઐતિહાસિક બે્રબર્ન સ્ટેડિયમમાં 20,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમની ક્ષમતા 45,000 સીટની છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને એ રીતે એ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે. મુંબઈમાં પણ એની હરોળનું સ્ટેડિયમ બને એવી ફડણવીસ સરકારની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button