‘નીલકમલ’ બોટ દુર્ઘટનાઃ વધુ એક મૃતદેહ મળ્યો, મૃતાંકમાં વધારો…

મુંબઈઃ મુંબઈમાં ‘નીલકમલ’ બોટ દુર્ઘટનામાં બચાવદળને વધુ એક મૃતદેહ મળી આવતા અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જવા નીકળેલી ફેરી નેવીની સ્પીડ બોટ સાથે થયેલી અથડામણ બાદ દરિયામાં ડૂબી ગઈ હતી.
આ પણ વાંચો : મુંબઈ ફેરી દુર્ઘટના: 7 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો
૧૮મી ડિસેમ્બરે બપોરે ૩ વાગ્યા પછી થયેલી દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ નેવી સુરક્ષા જવાનો, કોસ્ટ ગાર્ડ અને સીઆઈએસએફએ ચાર્જ સંભાળ્યો હતો. આ ઉપરાંત, હેલિકોપ્ટરને પણ રાહત કાર્યમાં સામેલ કરવામાં આવ્યા હતા.
જોકે, આ દુર્ઘટના દરિયાની વચ્ચોવચ બની નહોતી અન્યથા લોકોને જીવ બચાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત. આ ઘટનામાં રેસ્ક્યૂ ટીમે ૧૦૧ લોકોને બચાવ્યા હતા, જ્યારે ૧૩ લોકોના મોતની પ્રાથમિક માહિતી આવી હતી. બે લોકો ગુમ થયા હતા. બાદમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ૧૩ મૃતકોમાંથી ત્રણ જણ એક જ પરિવારના હતા, જે સારવાર માટે નાસિકથી મુંબઈ આવ્યા હતા.
આ પણ વાંચો : ૧૨ લોકોની ક્ષમતાની બોટથી બચ્યાં ૫૭ જણનાં જીવ પાયલટ કૅપ્ટને પોતાના અનુભવથી આ સાહસ કરી દેખાડ્યું…
આ દુર્ઘટનામાં સીઆઈએસએફના ત્રણ જવાનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ડિસ્ટ્રેસ કોલ આવ્યો ત્યારે ૧૦ મિનિટમાં જ તેઓ અકસ્માતસ્થળે પહોંચી ગયા. ત્રણ જવાનોની ટીમે ૩૦ લોકોના જીવ બચાવ્યા હતા, જ્યારે બીજી તરફ એક બોટે પણ રાહત કાર્યમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી, જેમાં માત્ર ૧૨ મુસાફરોની ક્ષમતા હતી પરંતુ ૫૬ લોકોના જીવ બચાવ્યા હતા.