છાવા સંગઠનના કાર્યકરોની મારપીટ: એનસીપીના 11 કાર્યકર સામે ગુનો દાખલ; અજિત પવારે સૂરજ ચવ્હાણની હકાલપટ્ટી કરી

મુંબઈ: લોકસભા સંસદ સભ્ય સુનિલ તટકરેની એક દિવસ અગાઉ યોજાયેલી પત્રકાર પરિષદ બાદ છવા સંગઠનના કાર્યકરોની મારપીટના મામલે આજે લાતુરમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના અગિયાર કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ રાજ્ય વિધાનસભાના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર દરમિયાન તેમના મોબાઇલ ફોન પર રમી રમતા દર્શાવતા એક વીડિયો પર તટકરેને પડકાર્યા બાદ એનસીપીના કાર્યકરોએ છાવા સંગઠનના કાર્યકરો પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ આવેલા નેતા અને તેના પુત્રની એનસીપીએ કરી હકાલપટ્ટી
છાવા સંગઠનના કાર્યકરોએ પત્રકાર પરિષદમાં ધમાલ મચાવી હતી અને તટકરે સામે પત્તા ફેંક્યા હતા. ત્યાર બાદ હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના વીડિયોમાં એનસીપીના કાર્યકરોએ એક્ટિવિસ્ટની મારપીટ કરી ખુરશીઓ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો.
છાવા સંગઠનના નેતા વિજય ઘાડગેની સખ્ત મારપીટ કરવામાં આવી હતી. તેમની ફરિયાદના આધારે એનસીપીના 11 કાર્યકર સામે ગંભીર ઇજા પહોંચાડવા, ગુનાહિત ધાકધમકી અને અન્ય ગુનાઓ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, એમ વિવેકાનંદ ચોક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી
આ ઘટનાની ગંભીર નોંધ લેતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પવારે સોમવારે તેમની પાર્ટીના યુવા પાંખના વડા સૂરજ ચવ્હાણને તેમના પદ પરથી રાજીનામું આપવા જણાવ્યું હતું. તેમનું વર્તન પક્ષના મૂલ્યોની વિરુદ્ધમાં જાય છે અને તેને સહન કરવામાં નહીં આવે તેથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે એમ ચવ્હાણને મળવા માટે બોલાવનારા પવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
દરમિયાન, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) અને સામાજિક સંગઠનો સહિત અનેક રાજકીય પક્ષોના કાર્યકરોએ સોમવારે આ હુમલા સામે લાતુર બંધનું આહ્વાન કર્યું હતું અને સવારે 9 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.