NCP: “અમને અમારી પાર્ટી અને પ્રતીક પાછું મળવું જોઈએ”, સુપ્રિયા સુળે

મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુપ્રિયા સુળેએ પાર્ટી અને તેનું ચૂંટણી પ્રતિક ફરી મળવા અંગે આશા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે તેમની પાર્ટીને તેના સ્થાપક સભ્ય પાસેથી છીનવી લેવામાં આવી છે તે સંપૂર્ણપણે અયોગ્ય છે. પ્રતીક પણ પાર્ટીને પરત કરવામાં આવે. દેશમાં લોકશાહી છે.
શરદ પવારની અરજી પર સુપ્રીમ કોર્ટે જાહેર કરાયેલી નોટિસ પર પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ દેશમાં લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવા માંગે છે. બંધારણની દસમી અનુસૂચિ સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી તમે કોઈ રાજકીય પક્ષ સાથે ભળી ન જાઓ ત્યાં સુધી તમારી સ્વતંત્ર ઓળખ ન હોઈ શકે… મારા મતે, અજિત પવારની છાવણી મહારાષ્ટ્રની રાજનીતિમાંથી શરદ પવારને ખતમ કરવા માંગે છે..”
સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો કે ભારતના ચૂંટણી પંચ (ECI)નો વચગાળાનો આદેશ, જેમાં શરદ પવારને ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી – શરદ ચંદ્ર પવાર’ નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, તે આગામી આદેશો સુધી ચાલુ રહેશે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને કેવી વિશ્વનાથનની બેન્ચે શરદ પવારને ચૂંટણી પ્રતીકની ફાળવણી માટે ECIનો સંપર્ક કરવાની પણ મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે અરજી દાખલ કર્યાના એક સપ્તાહમાં તેની ફાળવણી કરવામાં આવશે.
અજિત પવાર જૂથને સત્તાવાર રીતે એનસીપી તરીકે માન્યતા આપવા અને પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા શરદ પવાર સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 6 ફેબ્રુઆરીના રોજ, ચૂંટણી પંચે, વિધાનસભામાં બહુમતી પરીક્ષણ લાગુ કરીને, અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP હોવાનું ચુકાદો આપ્યો હતો અને જૂથને પક્ષ માટે ‘ઘડિયાળ’ પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
તેના આદેશમાં, ચૂંટણી પંચે કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભામાં NCP વિધાનસભ્યોની કુલ સંખ્યા 81 હતી અને તેમાંથી અજિત પવારે તેમના સમર્થનમાં 57 વિધાનસભ્યોના એફિડેવિટ રજૂ કર્યા હતા, જ્યારે શરદ પવાર પાસે માત્ર 28 એફિડેવિટ હતા.