આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે

અમરાવતી: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ છે. ચૂંટણીમાં વિજય મેળવવા માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે અમરાવતી જિલ્લાના બડનેરાથી અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની પત્ની નવનીત રાણા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.
રવિ રાણાએ એવો દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ તેમની પત્ની નવનીત રાણાને રાજ્યસભાના સભ્યપદની ખાતરી આપી છે.

રવિ રાણાએ કહ્યું હતું કે, તેમની પત્ની (નવનીત રાણા) અને અમરાવતીના ભૂતપૂર્વ લોકસભા સાંસદ આગામી મહિને યોજાનારી રાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત સુનિશ્ર્ચિત કરશે.
અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મને લાગે છે કે નવનીત રાણા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષના અન્ય ટોચના નેતાઓએ સતત કહ્યું છે કે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે, જે મને તેમના માટે યોગ્ય લાગે છે.

તમને જણાવી દઈએ કે નવનીત રાણા 2024ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી હારી ગયા હતા. આ બેઠક પરથી કોંગ્રેસના બળવંત વાનખેડેએ તેમને હરાવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે તેમણે આ બેઠક જીતી હતી અને 2024માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમના પર વિશ્ર્વાસ વ્યક્ત કરીને ભાજપે તેમને અમરાવતીથી ટિકિટ આપી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. થોડા દિવસ પહેલા જ ચૂંટણી પંચે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી અને ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button