આમચી મુંબઈ

મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળમાં એકનાથ શિંદેને આયોજન પ્રક્રિયાઓમાંથી બાકાત રખાતા…

થાણે: શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ શિવસેના (યુબીટી) જૂથ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને શિવસેનાના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. થાણેના આનંદ આશ્રમમાં પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ મ્હસ્કેએ જણાવ્યું હતું કે, જ્યારે હું મેયર હતો, ત્યારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. 350 પ્રતિ બોડી બેગ ખરીદતું હતું.

પરંતુ યુબીટીના નેતૃત્વ હેઠળ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ તે જ બેગ રૂ. 7,000માં ખરીદી હતી. આટલો મોટો તફાવત કેમ? સત્ય સ્પષ્ટ છે. સૂરજ ચવ્હાણને ખીચડી કૌભાંડ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તે કોના સહાયક હતા? સંજય રાઉતને પત્રા ચાલ કૌભાંડ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવા કલંકિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને એકનાથ શિંદે વિરુદ્ધ બોલવાનો કોઈ અધિકાર નથી.

nareshmhaske

મ્હસ્કેએ વધુમાં ખુલાસો કર્યો કે મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળ દરમિયાન તત્કાલીન નગર વિકાસ પ્રધાન એકનાથ શિંદેને શહેરની આયોજન પ્રક્રિયાઓમાંથી જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા હતા. જ્યારે શિંદેને બાકાત રાખવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, સંજય રાઉતે અહેવાલ મુજબ કહ્યું હતું કે, બીએમસી ઠાકરે પરિવારના નિયંત્રણ હેઠળ છે. બધા નિર્ણયો તેઓ અને તેમના સહયોગીઓ દ્વારા લેવામાં આવશે. એકનાથ શિંદેને દખલ ન કરવા કહો, એવો આરોપ મ્હસ્કેએ લગાવ્યો હતો.

રાઉત પર નિશાન સાધતા મ્હસ્કેએ કહ્યું હતું કે, સંજય રાઉતે હંમેશા ધર્મવીર આનંદ દિઘેનો અનાદર કર્યો છે, તેમના કારણે જ દિઘે પર ટાડા લાગ્યો હતો. એમવીએના કાર્યકાળ પર બોલતાં મ્હસ્કેએ કહ્યું હતું કે, તે સમયે સોનિયા અને રાહુલ ગાંધીએ યુબીટી નેતાઓને દિલ્હીમાં તેમના ઘરની બહાર રાહ જોવડાવી હતી. બધાએ જોયું કે તેઓ ખરેખર કોને ટેકો આપે છે. તેનાથી વિપરીત તાજેતરની એનડીએ બેઠકમાં અમારા નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઓપરેશન સિંદૂરની સફળતા માટે પીએમ મોદી અને ભારતીય સેનાને અભિનંદન આપવાનું સન્માન મળ્યું હતું.

તેમણે શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાને મળેલી રાષ્ટ્રીય માન્યતા પર ભાર મૂકીને સમાપન કર્યું. સાંસદ ડો. શ્રીકાંત શિંદેને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું તે મહારાષ્ટ્ર માટે એક સન્માન છે એમ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button