આમચી મુંબઈ

દાગીનાના બદલામાં નકલી સોનાની બિસ્કિટ્સ આપનારી ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઝવેરીઓ પાસેથી સોનાના દાગીના લઈને બદલામાં નકલી સોનાની બિસ્કિટ્સ પધરાવનારી ટોળકીના ત્રણ સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા. બાન્દ્રાના ત્રણ અને દક્ષિણ મુંબઈના ગિરગામના એક ઝવેરી પાસેથી 1.29 કરોડ રૂપિયાના દાગીના પડાવનારી આ ટોળકીએ અનેક જ્વેલર્સને ચૂનો ચોપડ્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રાકેશ કિસનદાસ લિલાની (50), વિક્રાંત રંગરાજ પારેખ (38) અને મોહમ્મદ હનીફ અબદુલ્લા શમા (62) તરીકે થઈ હતી. આરોપીઓના બે સાથી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.

આપણ વાંચો: તમે ખરીદેલું સોનુ અસલી છે કે નકલી એ ઘરે બેઠા આ રીતે તપાસી લો…

પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ આરોપીમાંથી એક ફરાર બે સાથી સાથે અગાઉ ઝવેરીબજારમાં દલાલીનું કામ કરતો હતો, જેને કારણે અનેક જ્વેલર્સ સાથે તેમની ઓળખાણ હતી. આરોપીઓએ મોટા ભાગે ઓળખીતા જ્વેલર્સને જ ટાર્ગેટ કર્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

આપણ વાંચો: રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્નમાં 555 નવવધૂને નકલી દાગીના આપ્યા! નોંધાઈ પોલીસ ફરિયાદ

જ્વેલર્સનો સંપર્ક સાધી આરોપીઓ બાવીસ કૅરેટના સોનાના દાગીના ખરીદવાની તૈયારી દાખવતા અને તેના બદલામાં 24 કૅરેટ સોનાની બિસ્કિટ્સ આપવાની લાલચ બતાવતા. બાદમાં દાગીના લઈને નકલી સોનું આપતા હતા. આ રીતે સોનાના દાગીના સાથે આરોપી રફુચક્કર થઈ જતા હતા. આ રીતે બીકેસીના ત્રણ અને વી. પી. રોડના એક જ્વેલર્સ સાથે 1.29 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે બીકેસીમાં જ્વેલર્સને આ રીતે છેતરવાના ત્રણ ગુના નોંધતાં તેને ગંભીરતાથી લઈ વરિષ્ઠ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. બીકેસી પોલીસની સ્પેશિયલ ટીમે વિવિધ મુદ્દે તપાસ કરી ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. આરોપીઓએ ચારેય ગુના કબૂલ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button