નાગપાડામાં 2.55 કરોડ રૂપિયાના સોનાની લૂંટનો કેસ ઉકેલાયો: પાંચ જણની ધરપકડ…
આરોપીઓ દેવું ચૂકવીને ઝટપટ શ્રીમંત બનવા માગતા હતા: પોલીસ

મુંબઈ: નાગપાડામાં ધોળેદહાડે 2.55 કરોડ રૂપિયાના સોનાની લૂંટનો કેસ પોલીસે 12 કલાકમાં જ ઉકેલી કાઢીને પાંચ જણની ધરપકડ કરી હતી અને લૂંટેલું તમામ સોનું જપ્ત કર્યું હતું. આરોપીઓ ઝટપટ શ્રીમંત બનવા અને તેમનું દેવું ચૂકવવા માગતા હતા. એક આરોપી અગાઉ ઝવેરી સાથે કામ કરતો હતો અને તેની દુકાનના કામકાજ વિશે જાણતો હતો.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કુર્લાના વિનાયક અજય દળવી અને મંગેશ પંઢરીનાથ શિદે, શિવડીના શાહનવાઝ હુસૈન ખાન, નાગપાડાના અબ્દુલ હકીમ અબ્દુલ કાદીર શેખ તેમ જ સંતોષ જૈન તરીકે થઇ હતી. આરોપીઓને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારના ઝવેરીનો કર્મચારી તેના સગા સાથે ગુરુવારે સવારે સ્કૂટર પર લોઅર પરેલમાં આવેલી ઓફિસમાં જવા માટે નીકળ્યો હતો. તેઓ નાગપાડા પોલીસ સ્ટેશનની હદમાં નવજીવન સોસાયટી નજીક ડાયના બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે આરોપી તેમને આંતર્યા હતા.
આરોપીએ તેમને ધમકાવ્યા હતા અને તેમની પાસેની બેગ આંચકી લીધી હતી, જેમાં 2.55 કરોડ રૂપિયાનું સોનું હતું. આરોપીઓએ તેમના સ્કૂટરની ચાવી પણ લઇ લીધી હતી, જેને કારણે તેઓ પીછો ન કરી શકે. સોનું લૂંટ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સવારે 8.45 વાગ્યે આ ઘટના બની હતી અને કર્મચારીએ ઝવેરીનો સંપર્ક સાધીને તેમને ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નાગપાડા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે પણ તેની તપાસ કરી રહી હતી. આરોપીઓને પકડવા વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી હતી. દરમિયાન ઝવેરીના કર્મચારીનો જવાનો માર્ગ આરોપીઓ જાણતા હોવાની શંકાને પગલે પોલીસે એ માર્ગો પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને મળેલા નક્કર પુરાવાને આધારે પોલીસે બાદમાં આરોપીઓને પકડી પાડી કેસ ઉકેલી કાઢ્યો હતો.