Bad News: ગરમીના વધારા સાથે મુંબઈના જળાશયોમાં પાણીનું સંકટ?

મુંબઈ: વધતાં તાપમાન અને ગરમીને લીધે મુંબઈને પાણીપુરવઠો કરતા જળાશયમાં પાણીની સપાટી જલદીથી ઘટી રહી છે, જે મુંબઈગરા માટે જળ સંકટનું કારણ બની શકે છે. અત્યારે ડેમમાં માત્ર 22.61 ટકા પાણીપુરવઠો બચ્યો હોવાની માહિતી મળી છે, તેથી ડેમમાં અંદાજે 3,27,289 મિલિયન લિટર પાણી ચોમાસા સુધી ચાલશે કે નહીં એ બાબતે પ્રશ્ન નિર્માણ થઈ રહ્યો છે.
મુંબઈના જળાશયોમાં પાણીપુરવઠો સતત ઓછો થઈ રહ્યો છે, જેને લીધે પાણીકપાત કરવા માટે પાલિકા દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં અપ્પર વૈતરના, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરના, ભાતસા, વિહાર અને તુલસી આમ સાત ડેમ રોજે 3,950 મિલિયન લિટર પાણી પૂરું પાડે છે.
ગયા વર્ષે પૂરતો વરસાદ પડવાને લીધે ડેમમાં એક વર્ષ સુધી ચાલે એટલું પાણી જમા થયું હતું, પણ હવે તે પાણી ખૂબ જ જલદી સમાપ્ત થઈ રહ્યું છે. જેને લીધે અપ્પર વૈતરનામાં 91,300 મિલિયન લિટર અને ભાતસામાં 1.37 મિલિયન લિટર પાણી બચ્યું છે.
પાલિકાના 20 એપ્રિલ સુધીના આંકડા મુજબ મુંબઈના સાતેય ડેમમાં મળીને 3,27,289 મિલિયન લિટર પાણી બચ્યું છે, પણ ઉનાળાને લીધે આ પાણી વધુ ઓછું થઈ શકે છે. વરસાદ શરૂ થયા સુધી ડેમમાં રહેલા પાણીનો સાચવીને પુરવઠો કરવો પડશે.
મે મહિનામાં ડેમમાં બચેલા પાણીપુરવઠાનો સર્વેક્ષણ કરીને આગળ નિયમો નક્કી કરવામાં આવશે. તેમ જ પાણીકપાત કેટલા ટકા કરવામાં આવશે તે બાબતે મે મહિનામાં નિર્ણય લેવાશે, એવું એક અધિકારીએ કહ્યું હતું.