internal assessment policyને લઈને Mumbai Universityનો મહત્ત્વનો નિર્ણય, આગામી વર્ષથી…

મુંબઈ: ઈન્ટરનલ એસેસમેન્ટ પોલિસીને રદ કર્યાના વર્ષો બાદ હવે મુંબઈ યુનિવર્સિટીએ તેને ફરી આવતા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ૨૦૨૪-૨૫માં પ્રથમ-વર્ષના બીએ, બીકોમ અને બીએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ૬૦-૪૦ પેટર્નમાં કરવામાં આવશે, જ્યાં સેમેસ્ટર-અંતની પરીક્ષાઓ ૬૦ ગુણની હશે અને આંતરિક મૂલ્યાંકન ૪૦ ગુણ માટે હશે. યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ છે.
મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૮૯૪ કોલેજોમાં, અત્યાર સુધી કેટલાક અભ્યાસક્રમોનું મૂલ્યાંકન ૧૦૦ માર્કસ પર અને કેટલાક કોર્સનું ૨૫-૭૫ માર્ક્સ પર કરવામાં આવતું હતું. હવે દરેક સેમેસ્ટરની પરીક્ષા માટે ૬૦ ગુણ અને આંતરિક મૂલ્યાંકન માટે ૪૦ ગુણ નક્કી કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓએ ૬૦-૪૦ માર્કના વિતરણ મુજબ બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક મૂલ્યાંકન બંને પરીક્ષાઓ અલગથી પાસ કરવાની રહેશે. બોમ્બે યુનિવર્સિટી વહીવટીતંત્રે તમામ સંલગ્ન કોલેજોને આ મૂલ્યાંકન પ્રણાલી લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
દરમિયાન, શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી, મુંબઈ યુનિવર્સિટીએ અનુસ્નાતક અભ્યાસક્રમો માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે. અનુસ્નાતક અભ્યાસક્રમો માટે ૫૦-૫૦ ગુણનું વિભાજન લાગુ છે. તેમાં દરેક સેમેસ્ટર (બાહ્ય મૂલ્યાંકન) માટે ૫૦ ગુણની લેખિત પરીક્ષા અને સતત મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન) માટે ૫૦ ગુણનો સમાવેશ થાય છે.
બંને પરીક્ષાઓ અલગ-અલગ પાસ કરવી ફરજિયાત છે. અગાઉ, મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમો માટે ૬૦-૪૦ સ્કોરિંગ સિસ્ટમ લાગુ હતી. નોંધનીય છે કે આ પદ્ધતિ પ્રથમવાર ૨૦૧૧-૧૨માં રજૂ કરવામાં આવી હતી.