મુંબ્રા ટ્રેન અકસ્માતઃ જે સ્થળે અકસ્માત થયો એ સ્થળ છે રેલવેનું બ્લેક સ્પોટ, જાણો કોણે કર્યો આવો દાવો?

મુંબઈઃ મુંબ્રા સ્ટેશન નજીક સોમવારે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી એક જીઆરપી જવાન સહિત પાંચ પ્રવાસીઓના મૃત્યુ થયા છે. જે સ્થળે આ અકસ્માત થયો છે એ મધ્ય રેલવે પર આવેલા બ્લેક સ્પોટમાંથી એક છે. બ્લેક સ્પોટ શું એની વાત કરીએ તો એવા સ્પોટ કે જ્યાં અકસ્માતમાં સૌથી વધુ પ્રવાસીઓના મૃત્યુ થાય છે. મધ્ય રેલવે પર દિવા-મુંબ્રા અને ડોંબિવલી-કોપર વચ્ચે મોટી સંખ્યામાં અકસ્માતમાં પ્રવાસીઓ જાન ગુમાવે છે.
મધ્ય રેલવે પરના આ બ્લેક સ્પોટ વિશે માહિતી આપતા રેલવે પોલીસ ફોર્સના ડીઆઈજી હેમંત કુમારે જણાવ્યું હતું કે આજે જે સ્પોટ પર મુંબ્રા નજીક અકસ્માત થયો છે એ રેલવેના બ્લેક સ્પોટમાંથી એક છે. આ ઠેકાણે એક મોટો ટર્ન છે, ટ્રેનની સ્પીડ પણ આ સમયે વધારે હોય છે. ધસારાના સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની ભીડ પણ વધારે હોય છે. આ કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
જોકે, સોમવારે બનેલી આ ગોઝારી ઘટના પહેલાં પણ અનેક પ્રવાસીઓએ આ સ્થળે પોતાના જાન ગુમાવ્યા છે. પ્રવાસી સંગઠન દ્વારા પણ અવારનવાર રેલવે અધિકારીઓનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે કે દિવા-મુંબ્રા વચ્ચે લોકલ ટ્રેનો વળાંકને અને સ્પીડને કારણે ટિલ્ટ થાય છે જેને કારણે એક જ દરવાજા પર ઉભેલા પ્રવાસીઓ પર અન્ય પ્રવાસીઓનું ભારણ આવે છે અને અનેક વખત હાથ છુટી જતાં પ્રવાસીઓના મૃત્યુ થયા હોવાના અહેવાલો સામે આવતાં હોય છે.
દિવા-મુંબ્રા સિવાય ડોંબિવલી-કોપર વચ્ચે પણ અવારનવાર અકસ્માત થતાં જ હોય છે અને પ્રવાસીઓનો ભોગ લેવાતો હોય છે. પ્રવાસી સંગઠનો દ્વારા પણ અવારનવાર આ બાબતે રેલવે અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ નક્કર પગલું ન લેવામાં આવતા આજે પાંચ પ્રવાસીઓનો ભોગ લેવાયો હતો.
આ પણ વાંચો - મુંબ્રા અકસ્માતઃ આઠ દિવસ પહેલાં જ પ્રાઈવેટ કંપનીમાં નોકરીએ લાગી દીકરી અને આજે…
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છેઃ સીએમ દેવેન્દ્ર ફડણવીસ
દિવા મુંબ્રા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી 8 પ્રવાસીઓ પડી હતા અને એમાંથી પાંચ પ્રવાસીના મૃત્યુ થયા હોવાની આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિત આપું છું અને મૃતકોના પરિવારના દુઃખમાં અમે સહભાગી છીએ. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કલવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમે લોકો સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છીએ. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એ માટે હું પ્રાર્થના કરું છું. આ દુર્ઘટના ચોક્કસ કયા કારણે બની એની તપાસ રેલવે દ્વારા કરવામાં આવી રહી છે, એવી માહિતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.