મુંબઈમાં ૯૦,૦૦૦ રખડતા શ્ર્વાન સામે માત્ર આઠ આશ્રયસ્થાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રખડતા શ્ર્વાના કરડવાને મુદ્દે સાર્વજનિક સ્થળ શાળા, હૉસ્પિટલો, બસ અને રેલવે સ્ટેશન સહિતના જાહેર વિસ્તારોમાં તમામ રખડતાં શ્ર્વાનને બે મહિનાની અંદર દૂર કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે ત્યારે મુંબઈમાં લગભગ ૯૦,૦૦૦ રખડતા શ્ર્વાન સામે માત્ર આઠ આશ્રયસ્થાન હોવાનું મુંબઈ મહાનગપાલિકાનું કહેવું છે.
આ પણ વાંચો : મુંબઈમાં રખડતા શ્ર્વાન માટે રેબીઝ પ્રતિબંધક વેક્સિન અભિયાન
કોર્ટના આદેશ બાદ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશનું પાલન કરવા માટે મુંબઈમાં રખડતા શ્ર્વાન માટે શેલ્ટર હોમની સંખ્યા વધારવી પડશે. હાલ મુંબઈમાં માત્ર આઠ શેલ્ટર હોમ છે. પાલિકાએ લગભગ ૧૧ વર્ષ પહેલા રખડતા શ્ર્વાનની ગણતરી કરી હતી ત્યારે તેની સંખ્યા ૯૫,૭૫૨ હતી પણ ૨૦૧૪ની સાલેથી એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગામ હાથમાં લીધા બાદ રખડતા શ્ર્વાનની સંખ્યામાં ઘટાડો થયો હોવાનુંં અધિકારીએ જણાવ્યું હતું. હાલ શહેરમાં રખડતા શ્ર્વાનની સંખ્યા લગભગ ૯૦,૬૦૦ છે. હાલ માત્ર આઠ શેલ્ટર હોમ છે પણ જૂના નિયમ મુજબ શ્ર્વાનનું વંધીકરણ કરીને તેમને છોડી દેવામાં આવે છે. જોકે હવે શુક્રવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મુંબઈના શેલ્ટર હોમની ક્ષમતા કેટલી છે તે તપાસવી પડશે. શ્ર્વાનનું સરેરાશ આયુષ્ય ૧૨થી ૧૫ વર્ષનું હોય છે. કોર્ટે શ્ર્વાનને શેલ્ટર હોમમાં મૂકવા પહેલા તેનું વંધીકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ શેલ્ટર હોમમાં જયાં તેને સંભાળવા માટે માણસ હોય પ્રાણીઓનો ડોકટર હોય અને તેમના ખાવા-પીવાની તમામ સગવડ હોવી હોય ત્યાં મૂકવાનો નિર્દેશ છે.



