ચોમાસામાં ખાડા પુરવા ૭૨ કરોડ રૂપિયાનું બજેટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે તેને કૉંક્રીટના બનાવવાનું કામ મોટા પાયા પર ચાલી રહ્યું છે, છતાં ચોમાસા દરમ્યાન રસ્તા પર પડનારા ખાડાના સમારકામ માટે પાલિકાએ ૭૯ કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. પાલિકાએ પશ્ર્ચિમ ઉપનગરની સાથે જ પૂર્વ ઉપનગરમાં ખાડા પૂરવા માટે તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યાં હતા.
ગયા વર્ષે પાલિકાએ ચોમાસામાં રસ્તા પર પડનારા ખાડા માટે ૨૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. તેની સામે આ વર્ષે માત્ર ૭૯ કરોડ રૂપિયા ફાળવ્યા છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે, તેથી આ વર્ષે રસ્તા પર ખાડા પડવાનું પ્રમાણ ઘટી જશે. એ સિવાય વોર્ડ સ્તરે રસ્તાના ખાડા પૂરવા માટે બે-બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પશ્ર્ચિમ ઉપનગરના રસ્તા પર ચોમાસા પહેલા અને ચોમાસા બાદ ખાડા પૂરવા સહિતના સમારકામ માટે લગભગ ૩૪ કરોડ રૂપિયા ખર્ચવાની છે, જેમાં બાન્દ્રા, સાંતાક્રુઝ, અંધેરી, ગોરેગામ, બોરીવલી અને દહિસર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. તેમ જ દક્ષિણ મુંબઈ તથા પૂર્વ ઉપનગર માટે પણ બુધવારે પાલિકાએ ડામરના રસ્તાના સમારકામ, ખાડા પૂરવા તથા રસ્તા પર પડેલા ખરાબ પેચીસને દૂર કરવા માટે છ અલગ અલગ ટેન્ડર બહાર પાડ્યાં હતાં, જેમાં મોટાભાગના રસ્તાની પહોળાઈ નવ મીટર કરતા ઓછી છે.
નોંધનીય છે કે હાલ મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, જે અંતર્ગત હાલમાં ૪૫૦ કિલોમીટરના રસ્તા ખોદવામાં આવ્યા છે અને આ કામ પૂરું કરવાની ડેડલાઈન ૩૧ મે, ૨૦૨૫ની છે.
આપણ વાંચો : શિવડી-વરલી કનેક્ટર બ્રિજ પ્રોજેક્ટ: વળતર નહીં ઘર જ આપવાની સ્થાનિકોની માગણી