મુંબઈ રેલવે ઉઘાડી પડીઃ એક કલાક સુધી એમ્બ્યુલન્સ નહીં, રેલવે પાસે માહિતીનો પણ અભાવ

મુંબઈઃ સોમવારે સીએસટીથી કસારા જતી ટ્રેનમાંથી દરવાજા પાસે લટકેલા પ્રવાસી પડી જતા છ જણના મોતની ખબર આવી રહી છે. (Mumbai train accident) જોકે આ ઘટના બન્યા બાદ રેલવે ઉઘાડી પડી છે. મુંબઈ રેલવેમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે ત્યારે પાયાની સુવિધાઓ પણ ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પ્રવાસીઓ ટ્રેક પર પડી ગયાના એકાદ કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી હોવાનું બહાર આવ્યું છે. પ્રવાસીઓને ઉંચકીને અન્ય વાહનમાં બેસાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.
આ સાથે આ અકસ્માત ક્યા કારણસર થયો અને લોકલ ટ્રેનમાંથી પ્રવાસી પડ્યા કે પુષ્પક એક્સપ્રેસમાંથી પડ્યા તે અંગે પણ રેલવેના જનસંપર્ક અધિકારી પત્રકારોને સ્પષ્ટ માહિતી આપી શક્યા ન હતા. ઘટના ક્યારે અને કેવી રીતે ઘડી તે અંગે માહિતી નથી મળી રહી. આ સાથે કુલ કેટલા પ્રવાસી પડ્યા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને કેટલા સારવાર લઈ રહ્યા છે તેની પણ સત્તાવાર માહિતી હજુ રેલવેએ આપી નથી.
ગાર્ડના કહેવાથી ઘટના વિશે રેલવેને જાણ થઈ હતી, પરંતુ પ્રવાસીઓને યોગ્ય રીતે સમયસર હૉસ્પિટલે પહોંચાડવામાં રેલવે નિષ્ફળ સાબિત થઈ હોવાનું ત્યાં હાજર લોકો કહી રહ્યા છે.
એક માહિતી પ્રમાણે આઠ જખ્મી છે અને એક પ્રવાસી મોતને ભેટ્યાનું પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આથી એક તો આ પ્રકારના અકસ્માત ટાળવામાં રેલવે નિષ્ફળ ગઈ છે જ, પરંતુ સાથે અક્સમાત બાદ જે કાર્યવાહી કરવાની હોય, બચાવકાર્ય કરવાનું હોય અને જનતા અને સંબંધીઓ સુધી માહિતી પહોંચાડવાની હોય તેમાં પણ રેલવે નિષ્ફળ ગઈ છે.
દરમિયાન મળતી માહિતી અનુસાર રેલવેએ વિશેષ ડોક્ટરોની ટીમ બોલાવી ઈજાગ્રસ્તોને સારવારનું કામ સોંપ્યું હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો….મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓના મોત