મુંબઈમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન બહાર હિંદુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન

મુંબઈ: બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ના કાર્યકર્તાઓએ મંગળવારે મુંબઈમાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા. બાંગ્લાદેશમાં હિંદુ યુવકની ટોળા દ્ધારા હત્યાના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર પણ આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભગવા ધ્વજ અને ‘હિંદુઓ બચાવો’ના પોસ્ટર સાથે હિંદુ સંગઠનોના લગભગ 50 કાર્યકરો બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસ કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં મોકલી દીધા હતા.
દરમિયાન 100થી વધુ કાર્યકરો દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ ‘જય શ્રીરામ’ ના નારા લગાવતા બીએમસી ભવન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે સ્ટેશન વચ્ચેના રસ્તા પર બેસી ગયા હતા અને ટ્રાફિકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પોલીસે તેમને ત્યાંથી હટાવીને આઝાદ મેદાનમાં મોકલ્યા હતા. ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંધે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા વિનંતી કરી હતી.



