નાલાસોપારામાં અપહરણ બાદ સગીરા સાથે દુષ્કર્મ: ફરાર યુવક પાંચ મહિના બાદ પકડાયો…

થાણે: પાલઘર જિલ્લાના નાલાસોપારામાંં સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર 19 વર્ષના યુવકને પોલીસે પાંચ મહિના બાદ મુંબઈથી પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
નાલાસોપારાના અલકાપુરી વિસ્તારમાંથી 10 માર્ચે આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાનાં માતા-પિતાએ આ પ્રકરણે આચોલે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે 27 માર્ચે ભારતીય ન્યાય સંહિતા તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુનામાં સંડોવાયેલો આરોપી છેલ્લા પાંચ મહિનાથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. જોકે તે થાણે જિલ્લાના મુંબ્રા ખાતે હોવાનું જાણવા મળ્યા બાદ તેનું પગેરું મેળવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
આખરે 21 ઑગસ્ટે મુંબઈના માનખુર્દ વિસ્તારમાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો, એમ સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખે જણાવ્યું હતું. (પીટીઆઇ)