આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે :ખેડૂતોને જોકે વાવણી ૧૫ જૂન બાદ કરવાની કૃષિ વિભાગની અપીલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સમય કરતા વહેલા આવી ગયેલા ચોમાસાએ ખાસ્સો એવો વિરામ લીધા બાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ૧૩ જૂનથી ફરી સક્રિય થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ૧૩ અને ૧૪ જૂન માટે મુંબઈ, થાણે સહિત પાલઘરમાં યલો અલર્ટ આપીને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્ર કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને વાવણી કરવા માટે ઉતાવળ નહીં કરતા ૧૫ જૂન સુધી રાહ જોવાની અપીલ કરી છે. ચોમાસું જૂન મહિનાના બીજા પખવાડિયામાં ફરી સક્રિય થવાની શક્યતા છે.

મુંબઈમાં સામાન્ય રીતે ૧૦-૧૧ જૂનના નૈર્ઋત્યના ચોમાસું આગમન થતું હોય છે પણ આ વર્ષે ૨૬મી જૂનના ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બાદમાં જોકે છૂટોછવાયો પડયા બાદ વરસાદ ગાયબ થઈ ગયો હતો. વરસાદની ગેરહાજરીને કારણે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની તંગીની સાથે જ ખેડૂતોની વાવણી સામે મોટું જોખમ નિર્માણ થઈ ગયું હતું. જોકે હવે ચોમાસું ૧૩ જૂન બાદ ફરી સક્રિય થવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર તમિલનાડુથી દક્ષિણ મહારાષ્ટ્રના કિનારા સુધી ટ્રફનું નિર્માણ થયું છે. તો ઉત્તર ઓડિશા અને પડોશમાં અપર એર સાયક્લોન પણ નિર્માણ થયું છે. આ સિસ્ટમ ઝડપથી મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ અને પશ્ર્ચિમ તરફ આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી ૧૨થી ૧૭ જૂન, ૨૦૨૫ દરમ્યાન મહારાષ્ટ્રમાં વરસાદની પ્રવૃતિમાં વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે.

હવામાન વિભાગના અધિકારી શુભાંગી ભુટેએ જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ફરી સક્રિય થવાની શકયતા છે. ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનવાની શક્યતા છે. ૧૨થી ૧૪ જૂન દરમ્યાન મરાઠવાડાના અમુક વિસ્તારમાં અને ૧૨થી ૧૫ જૂન દરમ્યાન કોંકણ-ગોવામાં વરસાદની શકયતા છે. ૧૨થી ૧૪ જૂન દરમ્યાન ભારે વરસાદની શકયતા છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ ૧૩થી ૧૫ જૂન દરમ્યાન ભારે વરસાદ પડવાની શકયતા છે.

આ દરમ્યાન જોકે રાજયના કૃષિ વિભાગે ખેડૂતોને ૧૫ જૂન સુધી વાવણીમાં ઉતાવળ નહીં કરવાની અપીલ કરી છે. મુખ્ય પ્રધાનની ઓફિસે જણાવ્યું હતું કે ૧૫ જૂન સુધી વાવણી રોકી રાખવી. આગામી દિવસમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના છે, તેથી ખેડૂતોએ અને માછીમારોએ સાવચેતી રાખવાની રહેશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં રાજય મંત્રીમંડળની બેઠકમાં ચોમાસાની સ્થિતિ, પાક માટે પાણીની ઉપલબ્ધતા અને ડેમમાં પાણીના સંગ્રહ સ્તરની સમીક્ષા કરવામાં આવી હતી.

કૃષિ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી વિકાસચંદ્ર રસ્તોગીએ મંત્રીમંડળને જણાવ્યું હતું કે ૧૫ જૂન પછી જ રાજ્યના તમામ પ્રદેશોમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. ખેડૂતોએ વાવણી શરૂ કરતા પહેલા ચોમાસું બેસે તેની રાહ જોવી યોગ્ય રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ૧૭ જિલ્લામાં સરેરાશના ૨૫ ટકાથી ઓછો વરસાદ પડયો છે, જ્યારે ૧૨ જિલ્લામાં ૨૫ ટકાથી ૫૦ ટકા સુધીનો વરસાદ પડયો છે. ચાર જિલ્લામાં ૫૦ ટકાથી ૭૫ ટકા સુધીનો વરસાદ પડયો છે. જયારે એક જિલ્લામાં સામાન્ય કરતા ૧૦૦ ટકા વધુ વરસાદ પડયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button