દિવાળીના ફટાકડાને કારણે વાતાવરણમાં ઝેરી ધાતુના રજકણ ફેલાયા: એનજીઓએ સરકારને દોષી ઠેરવી…

મુંબઈ: દિવાળીના તહેવારના દિવસો દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાઓને કારણે વાતાવરણમાં અત્યંત ઝેરી ભારે ધાતુના રજકણ ફેલાઇ હોવાનો દાવો એક બિન સરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા કરવામાં આવ્યો છે. આ વર્ષે દિવાળીના દિવસો સુધી ચોમાસુ ખેંચાઈ ગયું હોવાથી ફટાકડાને કારણે હવાની ગુણવત્તા બગડી હોવાનું સ્પષ્ટ થયું હતું.
મુંબઈ સ્થિત એનજીઓએ ઝેરી ફટાકડાના ઉપયોગને નિયંત્રિત કરવામાં અને નાગરિકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરોથી બચાવવામાં નિષ્ફળતા માટે રાજ્ય સરકારને દોષી ઠેરવી હતી. આવાઝ ફાઉન્ડેશન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર ‘વર્ષોના પરીક્ષણ અને પ્રચાર છતાં રાજ્ય સરકાર ઝેરી ફટાકડા ફોડવાથી લોકોની આરોગ્ય પર પ્રતિકૂળ અસરોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગઈ છે.’
ફાઉન્ડેશને આ વર્ષે રાસાયણિક સામગ્રીના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી વિવિધ કંપનીઓ દ્વારા ઉત્પાદિત 25 પ્રકારના ફટાકડાઓની સૂચિ રજૂ કરી દાવો કર્યો હતો કે મોટા ભાગના ફટાકડા પર અવાજની માત્રાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો જ્યારે કેટલાકમાં જરૂરી ક્યુઆર કોડ નહોતા.
સંસ્થા દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા ફટાકડા પર છાપવામાં આવેલું રાસાયણિક બંધારણ પરીક્ષણ દરમિયાન મળી આવેલી વાસ્તવિક સામગ્રીથી ખૂબ અલગ છે. ઉદાહરણ તરીકે, બ્લુબેરી ફટાકડા પરના લેબલમાં પોટેશિયમ નાઇટ્રેટ (55 ટકા), એલ્યુમિનિયમ (20 ટકા), સલ્ફર (15 ટકા) અને ઝિયોલાઇટ (10 ટકા)ની હાજરી હોવાનું જણાવાયું છે. જોકે, પ્રયોગશાળાના વિશ્લેષણમાં એલ્યુમિનિયમ (36.571 ટકા), પોટેશિયમ (16.851 ટકા), સલ્ફર (4.045 ટકા), સિલિકોન (0.148 ટકા) અને ઓક્સિજન (42.249 ટકા) મળી આવ્યા હતા.
(પીટીઆઈ)
આ પણ વાંચો…દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી