આનંદો ! જળાશયોમાં ૯૫ ટકાથી વધુ પાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની આખા વર્ષની પાણીની ચિંતા ટળી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં પાણીનું સ્તર ૯૫.૧૨ ટકાએ પહોંચી ગયું છે.
લાંબા સમય સુધી વરસાદ ગાયબ રહ્યા બાદ ગયા શુક્રવારથી મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ફરી સક્રિય થયો છે.
આપણ વાંચો: મુંબઈને વરસાદે બ્રેક મારીઃ થાણે-સીએસટી ટ્રેનવ્યવહાર ઠપ, જાણો મધ્ય-પશ્ચિમ લાઈનની સ્થિતિ
જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે જળાશયોમાં પાણીનું સ્તર ૧૩,૭૬,૭૦૩ મિલ્યન લિટરે ( ૯૫.૧૨) ટકાએ પહોંચી ગયું છે. ઉપરાઉપરી બે દિવસના વરસાદમાં અગાઉ તુલસી અને સોમવારે વિહાર છલકાઈ ગયું હતું.
ગયા વર્ષે જળાશયોમાં આ સમયે ૧૩,૫૩,૬૦૨ મિલ્યન લિટર(૯૩.૫૨ ટકા) અને ૨૦૨૩ની સાલમાં ૧૨,૦૯,૨૭૫ મિલ્યન લિટર (૮૩.૫૫ ટકા) જેટલો પાણીનો સ્ટોક હતો. મુંબઈને આખું વર્ષ પાણી પુરવઠો કરવા માટે જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલું પાણી હોવું જોઈએ.