લોકલ ટ્રેનના મોટરમેનની સજાગતાએ અજાણી વ્યક્તિનો જીવ બચાવ્યો!

મુંબઈઃ મુંબઈ રેલવેમાં વિવિધ પ્રકારના અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ રેલવે પ્રશાસનની સાથે પ્રવાસીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવે તો અકસ્માત ઘટી શકે છે, જેમાં પશ્ચિમ રેલવેમાં એક સતર્ક મોટરમેનને કારણે એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં મદદ મળી હોવાનું પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
શનિવારે બપોરે પશ્ચિમ રેલવેના મીરારોડ અને ભાયંદર સ્ટેશનની વચ્ચે મોટરમેનની સતર્કતાને લીધે એક વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના મીરા રોડ પર ફાસ્ટ ટ્રેક પર સૂઈને આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક અજાણ્યા પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. સતર્ક મોટરમેનની કામગીરી બદલ પશ્ચિમ રેલવે તેનું સન્માન કરશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી.
આપણ વાંચો: મુંબઈ રેલવે ઉઘાડી પડીઃ એક કલાક સુધી એમ્બ્યુલન્સ નહીં, રેલવે પાસે માહિતીનો પણ અભાવ
મોટરમેન કુરીલે તે વ્યક્તિને પાટા પર સૂતેલો જોયો અને અને સમયસર ટ્રેન રોકી દીધી. ત્યાર બાદ તે વ્યક્તિ ઊભો થયો અને તેને બચાવીને લઇ જવામાં ન આવ્યો ત્યાં સુધી તે ટ્રેનની પાસે બેસી રહ્યો. ઘટનાને કારણે ફાસ્ટ લાઇન સેવાઓ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીને સરકારી રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યો છે.
મોટરમેને એક નિવેદનમાં જણાવ્યું કે જ્યારે ટ્રેન ભાયંદર અને મીરા રોડ વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે મેં ટ્રેક પર એક વ્યક્તિને જોયો હતો. તે વ્યક્તિને જોતા જ મેં હૂટર વગાડ્યું અને ઇમરજન્સી બ્રેક લગાવી અને સમયસર ટ્રેન રોકી દીધી હતી.
લોકલ ટ્રેન રોક્યા પછી, તે વ્યક્તિ ઉભો થયો અને બીજા કોચના અંડરફ્રેમ નીચે બેસી ગયો. ત્યાર બાદ તેને લઇ જવામાં આવ્યો અને એક જીવ બચાવી લેવામાં આવ્યો હતો.