મોનોરેલ અકસ્માત: કંપનીને ટેકનિકલ રિપોર્ટ સબમિટ કરવા આદેશ

મુંબઈ: ચેમ્બુર-જેકોબ સર્કલ મોનોરેલ લાઇન પર બુધવારે નવી મોનોરેલ ટ્રેનોનું પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે એક ટ્રેન સાથે અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનને ભારે નુકસાન થયું હતું. આ બાબતની નોંધ લેતા, મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ કોર્પોરેશન (એમએમએમઓસીએલ)એ મોનોરેલ પ્રોજેક્ટમાં સલાહકાર અને મોનોરેલ ટ્રેનોના નિર્માણ તેમજ અત્યાધુનિક કોમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમના અમલીકરણ માટે જવાબદાર મેધા એસએમએચ રેલ પ્રાઇવેટ લિમિટેડને ટેકનિકલ રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. આ રિપોર્ટમાં અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
શ્રેણીબદ્ધ અકસ્માતોને કારણે સપ્ટેમ્બરથી મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે અને હાલમાં લાઇનને આધુનિક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
આપણ વાચો: ‘મોનોરેલ’ની મહાદશા બેઠીઃ વડાલા-જીટીબીનગર વચ્ચે મોનોરેલ કેમ ઝૂકી, કારણ શું હતું?
દરમિયાન, નવી સ્વદેશી બનાવટની મોનોરેલ ટ્રેનોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે મુજબ બુધવારે સવારે ૯ વાગ્યાની આસપાસ મોનોરેલ ટ્રેનનું પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે ખામીયુક્ત સિગ્નલ સિસ્ટમને કારણે એક મોટો અકસ્માત થયો હતો.
એમએમઆરડીએ એ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જોકે, અકસ્માતમાં બે લોકોને મામુલી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.
આ અકસ્માતને ધ્યાનમાં લઈને મોનોરેલ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ અને મેધા એસએમએચ રેલ પ્રાઇવેટ લિમિટેડને આ અંગે ટેકનિકલ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ એમએમએમઓસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર રૂબલ અગ્રવાલે માહિતી આપી. આ રિપોર્ટ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ 19 ઓગસ્ટના મોનોરેલ ટ્રેન વધુ વજનને કારણે ફસાઈ ગઈ હતી. તે સમયે ફાયર બ્રિગેડે ટ્રેનના દરવાજા તોડીને 588 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.



