વિધાનસભ્યનો કેન્ટિન કાંડઃ ફડણવીસને બદનામ કરવાનો કારસો હોવાનું કોણે કહ્યું?

મુંબઈ: એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મુંબઈના આકાશવાણી ધારાસભ્ય હોસ્ટેલની કેન્ટીનના કર્મચારી સાથે મારપીટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડીને શિંદે જૂથ પર નિશાન સાધ્યું છે.
મંગળવારે રાત્રે આકાશવાણી ધારાસભ્ય હોસ્ટેલની કેન્ટીનમાં સંજય ગાયકવાડે કર્મચારીને થપ્પડ મારી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ગાયકવાડનો આરોપ છે કે તેમને ખરાબ અને બગડેલી દાળ પીરસવામાં આવી હતી. વીડિયોમાં તેઓ કર્મચારી પર ગુસ્સો કરતા અને બિલ ચૂકવવાનો ઇનકાર કરતા જોવા મળ્યા હતા. આ મામલે તેણે જણાવ્યું હતું કે અગાઉ પણ કેન્ટીનને ચાર વખત સારુ જમવાનું આપવાની સૂચના આપી હતી, પરંતુ તેનું પાલન ન થયું.
ઉદ્ધવ ઠાકરેની ચેતવણી
સંજય ગાયકવાડે આ ઘટના પર કોઈ પસ્તાવો ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, “હું યોદ્ધા અને લોકોનો પ્રતિનિધિ છું. ખોરાક સડેલો હતો, મેં ફક્ત યોગ્ય પગલું લીધું.” બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાની નિંદા કરી અને આને ફડણવીસને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે ફડણવીસને સાવચેત રહેવા ચેતવણી આપી.
આપણ વાંચો: 12 કરોડના ગાંજા સાથે ઍરપોર્ટ પર ગુજરાતી સહિત બે પકડાયા
સરકાર પર કર્યા આકરા પ્રહાર
ઉદ્ધવ ઠાકરેએ આઝાદ મેદાનમાં મિલ મજૂરોની રેલીને સંબોધતા રાજ્ય સરકારની ટીકા કરી. તેમણે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા અને મિલ મજૂરોને ઘર આપવાની માગણી કરી. આ ઉપરાંત, તેમણે બિન-સહાયિત શિક્ષકોના આંદોલનને સમર્થન આપ્યું અને તેમની ન્યાયની લડાઈમાં સાથ આપવાનું વચન આપ્યું. તેમણે મરાઠી ન બોલનાર દુકાનદાર પરના હુમલાને શરમજનક ગણાવીને હિન્દી ભાષા થોપવાના પ્રયાસોનો વિરોધ કર્યો.