મીઠી નદીનો ગાળ ભ્રષ્ટાચાર પ્રકરણમાં ૨૦૦૬થી તપાસ થશે: રાજ્ય સરકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીનો ગાળ કાઢવામાં થયેલા ભ્રષ્ટાચાર પ્રકરણમાં ત્રણ વર્ષમાં ૬૫ કરોડ રૂપિયાનો ગેરવ્યવહાર થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સંબંધિત પ્રકરણની તપાસ ૨૦૦૬થી ચાલુ કરવામાં આવી હોવાની માહિતી ઉદય સામંતે ગુરુવારે વિધાન પરિષદમાં આપી હતી.
વિધાન પરિષદના સભ્ય દ્વારા મીઠી નદીના ગાળ કાઢવા બાબતે કરવામાં આવેલા પ્રશ્ર્નનો જવાબ આપતા ઉદય સામંતે જણાવ્યું હતું કે એસઆઈટીએ ૨૦૧૨થી ૨૦૨૧ સુધીના સમયગાળાના ત્રણ લાખથી વધુ ફોટો તપાસ્યા છે. આ પ્રકરણમાં અમુક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અમુક લોકોએ જામીન માટે અરજી પણ દાખલ કરી છે.
આ પણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કૌભાંડ: આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવાની માગ
તપાસમાં અનેક ઠેકાણે કામ થયું ન હોવાનું તેમ જ અમુક ખોટા કામ થયા હોવાનું જણાઈ આવ્યું હોઈ તેમાં સહભાગી રહેલા કૉન્ટ્રેક્ટરોની યાદી સરકાર પાસે છે. સંપૂર્ણ પ્રકરણમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને સંરક્ષણ આપવામાં આવશે નહીં અને દોષી સામે આકરા પગલા લેવામાં આવશે એવું આશ્ર્વાસન આપતા ઉદય સામંતે જણાવ્યું હતું કે નદીમાંથી કાઢવામાં આવેલો ગાળ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નહીં નાખતા ખાનગી જગ્યામાં નાખવાની મંજૂરી આપવામાં આવી હોવાને કારણે આ કૌભાંડ થયું હતું.