Good News: MHADA આ વર્ષે 35,000 ઘરનું કરશે નિર્માણ…
અભ્યુદયનગર, જીટીબીનગર કોલોનીના પુનર્વિકાસ અને નેશનલ પાર્કના પુનર્વસન સમાવિષ્ટ

મુંબઈ: મ્હાડા (Maharashtra Housing and Area Development Autthoriy-MHADA) દ્વારા નવા વર્ષમાં ત્રણ નવા પ્રકલ્પ હાથમાં લેશે. અભ્યુદયનગરનો પુનર્વિકાસ, જીટીબીનગર ખાતેની કોલોનીનો પુનર્વિકાસ અને સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP)ના રહેવાસીઓનું પુનર્વસન. આ પ્રકલ્પો દ્વારા ૩૫,૦૦૦ ઘરોનું નિર્માણ કરવામાં આવશે.
આ પણ વાંચો : મંત્રાલયમાં જગ્યાની તંગી વચ્ચે એર ઇન્ડિયાના મકાનના હસ્તગત કરવાની પ્રક્રિયાને ગતિ મળી
હાલમાં બનેલી નવી સરકારે દરેક વિભાગને ૧૦૦ દિવસના કાર્યનું માળખું તૈયાર કરવાનો નિર્દેશ કર્યો છે તેના જ એક ભાગ હેઠળ મ્હાડાએ ત્રણ પ્રકલ્પો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નેશનલ પાર્કના ૨૭,૦૦૦ પાત્ર ઠરેલા રહેવાસીઓનું પુનર્વસન મ્હાડા દ્વારા કરવામાં આવનાર છે. મરોલ-મરોશી ખાતે ૧૯૦ એકરની જગ્યામાંથી ૯૦ એકરની જગ્યામાં તેમનું પુનર્વસન કરવામાં આવનાર છે. ટૂંક સમયમાં આ કામની શરૂઆત થવાની શક્યતા છે.
અભ્યુદયનગર પુનર્વિકાસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ રહેવાસીઓએ વધુ જગ્યા આપવાની માગણી કરી હતી. તેના પર વિચારણા કરીને ફરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. ૧૦મી જાન્યુઆરી સુધી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે. આ પ્રકલ્પમાં સાડા ત્રણ હજાર પરિવારને પુનર્વિકસિત ઘર આપવામાં આવશે.
આ પણ વાંચો : ધારાવીમાં એક લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસીઓને કાયમી મકાનો મળશે: એકનાથ શિંદે
જીટીબી નગર ખાતેના ૧૧.૨૦ એકર પર ફેલાયેલી કોલોનીનો પુનર્વિકાસ આ વર્ષે જ હાથ ધરવામાં આવનાર છે જેના હેઠળ ૧,૦૦૦ પરિવારને ઘર આપવામાં આવશે. ત્રણેય પ્રકલ્પ મળીને ૩૫,૦૦૦ ઘર મૂળ રહેવાસીઓ માટે બનાવવામાં આવશે, જેમાં મ્હાડાને પણ થોડા પ્રમાણમાં ઘર મળવાના છે.