આમચી મુંબઈ

ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનાર રીઢો આરોપી પકડાયો

બળાત્કારના કેસમાં સજા ભોગવીને છૂટેલા આરોપીએ ટૂ-વ્હીલર ખરીદવા ગુનો આચર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઘાટકોપરમાં મંદિરની દાનપેટીઓમાંથી રૂપિયા ચોરનારા રીઢા આરોપીને પંતનગર પોલીસે ગુનો દાખલ થયાના ત્રણ કલાકમાં જ પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. અપહરણ અને બળાત્કારના કેસમાં સજા ભોગવીને છૂટેલા આરોપીએ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે ગુનો આચર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

પંતનગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દીપક ભાનુદાસ ભુક્તર ઉર્ફે ગણેશ ઉર્ફે ગણ્યા (31) તરીકે થઇ હતી. આરોપી વિરુદ્ધ પંતનગર, પાર્કસાઇટ, વિક્રોલી પોલીસ સ્ટેશનમાં 14 ગુના દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આપણ વાંચો: સાયબર પોલીસના કોન્સ્ટેબલો જ મોબાઈલ ડેટા ચોરીને રીઢા આરોપીને વેચતા હતા!

ઘાટકોપર પૂર્વના પંતનગરમાં સહકાર માર્કેટ ખાતે પ્રસિદ્ધ ભવાની માતા મંદિરમાં દાનપેટીઓમાંથી આશરે પચીસથી પચાસ હજાર રૂપિયા ચોરાયા હોવાની ફરિયાદ શુક્રવારે સવારના પંતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.

આ ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ત્રણ ટીમ તૈયાર કરી હતી. આરોપી મોઢા પર માસ્ક પહેરીને આવ્યો હતો, જેને કારણે સીસીટીવી ફૂટેજમાં તેને ઓળખવાનું મુશ્કેલ બન્યું હતું.

આપણ વાંચો: દારૂની દુકાનનો કાચ તોડનારા રીઢા આરોપીની હત્યા

દરમિયાન પોલીસે ગુનાની શૈલી તથા આવા ગુનામાં સંડોવાયેલા આરોપી વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું અને તપાસ કર્યા બાદ આરોપીને ત્રણ કલાકમાં પકડી પાડ્યો હતો.

આરોપીના ઘરની તલાશી લેવામાં આવી હતી અને મંદિરની બે દાનપેટીમાંથી ચોરેલા 14,878 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોરી વખતે આરોપીએ પહેરેલા કપડાં અને હથિયાર પણ હસ્તગત કરાયાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.

અંબરનાથના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં 21 માર્ચ, 2018ના રોજ આરોપી વિરુદ્ધ સગીરાનું અપહરણ અને બળાત્કાર બદલ ગુનો દાખલ કરાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં તેને સજા પણ થઇ હતી. સજા ભોગવાની આરોપી હાલમાં જ બહાર આવ્યો હતો અને નવી ટૂ-વ્હીલર ખરીદવા તેણે ચોરીનો ગુનો આચર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button