મલાડના પઠાણવાડીમાં ગોડાઉનમાં ભીષણ આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં શનિવારે આગના જુદા જુદા બે બનાવ બન્યા હતા, જેમાં મલાડ (પૂર્વ)માં પઠાણવાડી પરિસરમાં શનિવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં ચારથી પાંચ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા. તો બીજી આગ મલાડ (પશ્ર્ચિમ)માં માલવણીમાં એક ભંગાર કારમાં લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું પણ માલસામાનનું મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ પઠાણવાડીના પિંપરી પાડામાં શનિવારે બપોરના ૧૨.૫૦ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ પ્લસ એક માળના ગોડાઉનમાં આગ લાગી હતી. થોડી મિનિટોમાં જ આગની ચપેટમાં આજુબાજુના ગોડાઉન પણ આવી ગયા હતા. આગની જાણ થતા ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : થાણેમાં ટુ વ્હીલર અને ટ્રકમાં આગ: કોઈ જાનહાનિ નહીં…
મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી પણ સાંજ સુધી કુલિંગ ઓપરેશન ચાલુ હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ આ ગોડાઉનમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, સ્ટીલ રેક્સ, સ્ટીલ કબાટ, લાકડા અને સ્ટીલનું ફર્નિચર, પ્લાયવુડનો સ્ટોક, ઓફિસ ફાઈલ, ડેકોરેટીવ મટિરિયલ સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
આગનો બીજો બનાવ મલાડ (પશ્ચિમ)માં માલવણીમાં મ્હાડા કોલોની નંબર આઠમાં ત્રીજી ગલીમાં માનસરોવર બિલ્ડિંગમાં લાગી હતી. સાંજના ૪.૨૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં નીચે કમ્પાઉન્ડમાં રહેલી ભંગાર કારમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.