રાજ્યમાં વધુ એક કમિશનની રચના, ધારાવી પુનર્વિકાસ અંગે મોટી અપડેટ; કેબિનેટની બેઠકમાં 4 મોટા નિર્ણયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જનજાતિ કમિશનની સ્થાપના, ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે જમીનની ટ્રાન્સફર, રાજ્ય કર્મચારી વીમા નિગમની હોસ્પિટલો માટે જમીન અને ટોલ ક્ધસેશન માટે વળતરનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકારે અનુસૂચિત જનજાતિ માટે એક સ્વતંત્ર કમિશનની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ કમિશનનું નામ ‘મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જનજાતિ આયોગ’ હશે. આ કમિશન માટે જરૂરી પદો નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, ઓફિસ સ્પેસ અને અન્ય ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી છે. ‘મહારાષ્ટ્ર રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરશે,’ એમ સરકારે સ્પષ્ટ કર્યું છે.
ધારાવીના રિડેવલપમેન્ટનો માર્ગ હવે સરળ બન્યો છે. ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ડેરી વિકાસ વિભાગની કુર્લામાં આવેલી 8.5 હેક્ટર જમીન આપવામાં આવશે. આ જમીનના ટ્રાન્સફર માટેના કરારમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
રાજ્ય કર્મચારી વીમા નિગમ (ઈએસઆઈસી) તેના કર્મચારીઓ માટે છત્રપતિ સંભાજીનગરમાં 200 બેડની હોસ્પિટલ સ્થાપવા જઈ રહી છે.
આ માટે મૌજે કરોડીમાં છ હેક્ટર બિનખેતીલાયક જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પુણે, અહિલ્યાનગર, સાંગલી, અમરાવતી, બલ્લારપુર-ચંદ્રપુર, સિન્નર-નાશિક, બારામતી, સાતારા અને પનવેલમાં હોસ્પિટલ સ્થાપવા માટે જમીન ફાળવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ટોલમાં છૂટછાટને કારણે થયેલા નુકસાન માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ને વળતર આપવામાં આવશે. મુંબઈના પ્રવેશદ્વાર પર પાંચ ટોલ પ્લાઝા પર છૂટછાટ આપવામાં આવી છે. તેથી, એમએસઆરડીસી પર જે આર્થિક બોજ પડશે તેની ભરપાઈ સરકાર કરશે. ‘મુંબઈના પ્રવેશદ્વાર પર પાંચ ટોલ પ્લાઝા પર છૂટછાટને કારણે કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવનાર વળતર છે,’ એમ સરકારે જણાવ્યું છે.